ભરૂચ જિલ્લામાં અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક તરીકે પસંદગી પામેલા 26 ઉમેદવારોને કલેકટર કચેરીના વિડિયો કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેકટર ડો. એમ.ડી.મોડિયા, જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયન, જિલ્લા શિક્ષણાધિકારી નવનીત મહેતા, શાળા સંચાલક મંડળના પ્રમુખ દિનેશ પંડ્યા સહિત અન્ય મહાનુભાવોના હસ્તે નિમણૂંક પત્રો એનાયત કરાયા હતા.
ભરૂચ જિલ્લા કલેકટર ડો. એમ.ડી.મોડીયાએ પસંદગી પામેલ ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી હતી. જિલ્લા શિક્ષણાઘિકારી મહેતાએ ઉમેદવારોને જરૂરી માર્ગદર્શન પુરુ પાડયું હતું. આગામી તા. 7મી જૂનથી શાળાઓમાં પસંદગી પામેલ ઉમેદવારો હાજર થશે. સમગ્ર રાજ્યમાંના ઉમેદવારોને આર્શિવચન આપવા માટે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાઈને આર્શિવચન પાઠવ્યા હતા.
જેમાં રાજ્યના 2938 પસંદગી પામેલા ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી હતી. ભરૂચ ખાતે કલેકટર કચેરી ખાતેના વિડીયો કોન્ફરન્સ હોલમાં નાયબ કલેકટર એન.આર.પ્રજાપતિ, ડાયટ પ્રાચાર્ય બી.પી.ગઢવી, આચાર્ય સંઘના પ્રમુખ પ્રવિણસિંહ રણા, માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટસિંહ મહિડા, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ રવિન્દ્રપટેલ, વહીવટી સંઘના પ્રમુખ અર્જુનભાઇ, ભરતી નોડલ અધિકારી સંગીતા મિસ્ત્રી સહિત અન્ય અધિકારીગણ અને પસંદગી પામેલ ઉમેદવારો ઉપસ્થિત રહયા હતા.