ભરૂચ: કોરોનાએ ફક્ત માણસો જ નહીં પરંતુ વૃક્ષોનો પણ જીવ લીધો ?
કોરોનાની બીજી લહેરમાં સતત થઈ રહેલાં મૃત્યુને કારણે પર્યાવરણ પણ પ્રભાવિત થઈ રહ્યું છે. મૃતદેહોના અંતિમસંસ્કાર માટે લાકડાંની ખપત અચાનક વધી ગઈ છે જેના કારણે કોરોના જાણે વૃક્ષોનો પણ ભોગ લઈ રહ્યો હોવાનું લાગી રહયું છે
કોરોનાએ માત્ર મનુષ્યોને જ નહિ પરંતુ જંગલોને પણ મારવાની શરૂઆત કરી છે. વાત જરાક અજીબ લાગશે પરંતુ આ વાસ્તવિકતા છે કારણે કે જે પ્રકારે રાજ્યમાં કોરોનાના કારણે મૃત્યુ થઇ રહ્યા છે તે મૃતદેહોના અગ્નિ સંસ્કાર માટે લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે અને અચાનક લાકડાની ખપત વધતા જંગલો કાપવાની ફરજ પડી છે. ભરૂચ જીલ્લાની વાત કરીએ તો ભરૂચ ખાતે છેલ્લા કેટલાક દિવસથી રોજના ૨૦ થી ૨૫ મૃતદેહોની અંતિમ ક્રિયા કરવામાં આવે છે. ભરૂચના કોવીડ સ્મશાનમાં ગેસ ફર્નેસ કે ઇલેક્ટ્રિક ફર્નેસ નથી જેથી તમામ મૃતદેહોને લાકડા ઉપર જ અંતિમ સંસ્કાર આપવામાં આવે છે. એક મૃતદેહને બાળવા ૧૨ થી ૧૫ મણ લાકડા જાય હવે રોજના સરેરાશ ૨૫ મૃતદેહ ગણીએ તો ૩૭૫ મણ લાકડા રોજના વપરાય છે એટલે કે રોજના ૭૫૦૦ કિલો લાકડા અગ્નિ સંસ્કાર માટે વપરાય છે. છેલ્લા ૧૫ દિવસમાં ૨૪૦ જેટલા મૃતદેહોના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા છે એટલે કે છેલ્લા ૧૫ દિવસમાં જ ૭૨ હજાર કિલો લાકડાની ખપત થઇ છે. ત્યારે હવે કોરોના જો હજુ પણ કાબુમાં નહીં આવે તો મનુષ્યની સાથે સાથે પર્યાવરણને પણ ખુબ મોટું નુકસાન પહોચશે.