ભરૂચના ફાટા તળાવ વિસ્તારમાં ઉભરાતી ગટરોનું દૂષિત પાણી માર્ગ પર ફળી વળતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
મુસ્લિમ સમુદાયોના પવિત્ર તહેવાર રમઝાન માસ ચાલી રહ્યો છે છતાં પણ તેઓના વિસ્તારોમાં સફાઈ કામ થતું ન હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે ત્યારે ભરૂચના ફાટા તળાવ વિસ્તારમાં ઉભરાતી ગટરોનું દૂષિત પાણી જાહેર માર્ગ પર ફળી વળ્યું છે ત્યારે પવિત્ર રમજાન માસમાં જ ધાર્મિક સ્થળો ઉપર જવા માટે પણ ગટરના દૂષિત પાણી માંથી લોકોએ પસાર થવા માટે મજબૂર થવું પડ્યું છે.
સ્થાનિકોના જણાવ્યુ અનુસાર, કેટલાય વિસ્તારોમાં સફાઇ અભિયાન હાથ ધરવામાં આવતું નથી. ભરઉનાળે ચોમાસાની ઋતુનો અનુભવ લોકો કરી રહ્યા છે. દૂષિત પાણી માર્ગ પર ફળી વળતાં લોકોને અવરજવરમાં પણ ભારે તકલીફો પડી રહી છે. ઉપરાંત દુકાનો નજીક જ પ્રદૂષિત પાણી ભરાઇ રહેવાના કારણે દુકાનદારોને પણ વેપારમાં નુકસાન થતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે.
જિલ્લામાં એક તરફ કોરોના હાહાકાર મચાવી રહ્યો છે તો બીજી તરફ ગંદકીના કારણે અન્ય રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત વ્યક્ત કરી રહ્યા છે ત્યારે ભરૂચના ફાટા તળાવ વિસ્તારમાં ઉભરાતી ગટરોના કારણે દૂષિત પાણીમાંથી રાહદારીઓ અને વાહનચાલકો પસાર થવા મજબૂર બન્યા છે જો કે વહેલી તકે સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ભરૂચ નગરપાલિકાને ઘેરાવ કરવાની ચીમકી પણ લોકો ઉચ્ચારી રહ્યા છે.