ભરૂચના હાંસોટથી પંડવાઈને જોડતા માર્ગ પર બનેલા માર્ગ અકસ્માતમાં પિતા અને પુત્રના મોત નીપજ્યા હતા. બેફામ ઝડપે દોડતા ટ્રકચાલકે બાઇકને ટક્કર મારતા આ દુર્ઘટના સર્જાય હતી.

ભરૂચના હાંસોટના  વાલનેર ગામના રહેવાસી 36 વર્ષીય રાજેશ વસાવા પોતાના 11 વર્ષીય પુત્ર સાહિલ વસાવા સાથે બાઇક પર હાંસોટ જઈ રહ્યા હતા. તે દરમિયાન આસ્તા ગામ નજીક પાછળથી ઝડપથી આવી રહેલા ટ્રકે તેમની બાઇકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં રાજેશ તથા સાહિલને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેના પગલે પિતા અને પુત્રના મોત નિપજ્યા હતા.અકસ્માત સર્જાયા બાદ ટ્રકચાલક ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં હાંસોટ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયા હતા. પોલીસે ફરાર ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.