રાજયમાં બે દિવસ સુધી વરસેલા વરસાદે ખેતીનો દાટ વાળી દીધો છે. ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં પણ ખેતીને નુકશાન થયું હોવાનું બહાર આવ્યું છે.
હાંસોટ તાલુકામાં વાતાવરણમાં અચાનક પલટો આવતા ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. ભારે વરસાદથી તાલુકાના ખેડૂતોના કપાસ. ભીડા. ડાંગર અને શાકભાજી જેવા પાકને નુકશાન થયું છે. હાંસોટ તાલુકાના કતપોર, વમલેશ્વર, જતપોર, સમલી તથા કંટિયાજાળ ગામે ખેડુતોને નુકશાન થયું છે. ચોમાસુ વિદાય લેવાની તૈયારીમાં હતું ત્યાં જ વરસાદે ખેતીનો દાટ વાળી દીધો છે. થોડા સમય પહેલાં તૌકતે વાવાઝોડાથી કાંઠા વિસ્તારોમાં ભારે પવન અને વરસાદથી ખેતીના પાકને નુકશાન થયું હતું. કુદરતના માર સાથે જગતનો તાત લાચાર બની ગયો છે. ખેતરોમાં પાણી ભરાય જતાં તેમની આખા વર્ષની મહેનત એળે ગઇ છે. ખેડુતોને આર્થિક લાચારીમાંથી બહાર લાવવા સરકાર વળતર ચુકવે તેવી પણ માંગ ઉઠી છે.
