તાઉતે વાવાઝોડાના કારણે ઝઘડીયાના ગ્રામ્ય વિસ્તારોમાં એગ્રી કલ્ચર લાઇનનો વીજ ખોરવાયેલ પુરવઠો સાત દિવસ બાદ પણ પુન:પ્રસ્થાપિત ન કરાતા ખેડૂતોએ વીજ કંપની કચેરી પર હલ્લો મચાવ્યો હતો.
તાઉતે વાવઝોડા દરમ્યાન ફૂંકાયેલ ભારે પવન અને વરસાદના કારણે અનેક જિલ્લાઓમાં વીજ પુરવઠો ખોરવાયો છે. ઝઘડીયાના ધારોલી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વીજ પુરવઠો ખોરવાયો હતો.ખાસ એગ્રીકલ્ચર લાઇનનો વીજ પુરવઠો સાત દિવસ બાદ પણ કાર્યરત ન થતાં ખેડૂતો વિફર્યા હતા અને ઝઘડીયા ખાતે આવેલ વીજ કંપનીની કચેરી પર પહોંચી હલ્લો મચાવ્યો હતો. ખેડૂતોએ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ઇજનેરને ઉગ્ર રજૂઆત કરી તાત્કાલિક વીજ પુરવઠો પુન:પ્રસ્થાપિત કરવાની માંગ કરી હતી. ખેડૂતોએ જણાવ્યુ હતું કે વીજ કંપનીનું સબ સ્ટેશન બની ગયું છે તેને પણ શરૂ કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.