ભરૂચ જીલ્લામાં કોરોનાનો કહેર વર્તી રહ્યો છે ત્યારે પોલીસ દ્વારા પણ કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા અત્યાર સુધીમાં રૂપિયા 1.89 કરોડના દંડની વસૂલાત કરવામાં આવી છે.
ભરૂચ શહેર અને જીલ્લામાં કોરોનાનું સંક્રમણ ઘાતક પુરવાર થઈ રહયું છે અને કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થઈ રહયો છે ત્યારે પોલીસ પણ કડક હાથે કાર્યવાહી કરી રહી છે. પોલીસે લોકડાઉન બાદ રાત્રિ કરફ્યુ સહિતના દિવસોમાં કડક કાર્યવાહી કરી છે અને આ અંગેના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે અત્યાર સુધી જાહેરનામા ભંગના કુલ 3934 ગુના દાખલ કર્યા છે તો માસ્ક ન પહેરનાર તેમજ જાહેરમાં થૂંકનાર લોકો સહિત વિવિધ નિયમોના ભંગ બદલ રૂપિયા 1.89 કરોડના દંડની વસૂલાત કરી છે. આ તરફ કોરોનાકાળમાં ખડેપગે ફરજ બજાવનાર જિલ્લાના 111 પોલીસકર્મીઓ પણ કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે જે પૈકી 5 પોલીસકર્મીના મોત નિપજ્યાં છે. કોરોના કાળમાં લોકો સરકારની વિવિધ ગાઈડ લાઇનનું પાલન કરે એ માટે પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે