ભરૂચ જીલ્લામાં અનંત ચૌદશના દિવસે ઠેર ઠેર ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું, ત્યારે અંકલેશ્વરના હસ્તીતળાવ નજીક આવેલ કૃપાનગરમાં શ્રીજી ભક્તોએ ઘરના આંગણે જ ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કર્યું હતું.
ગણેશ મહોત્સવ દરમ્યાન 10 દિવસનું આતિથ્ય માળ્યા બાદ ભક્તો દ્વારા ગણેશજીની પૂજા-અર્ચના કરી મંગળવારે અનંત ચૌદશના દિવસે શ્રીજી પ્રતિમાઓને વિસર્જિત કરવામાં આવી હતી, ત્યારે અંકલેશ્વરના હસ્તીતળાવ નજીક આવેલ કૃપાનગરના સ્થાનિક શ્રીજી ભક્તોએ ઘરના આંગણે જ ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કર્યું હતું.
જોકે દર વર્ષે વિશાળ પંડાલો બનાવી શોભાયાત્રા સહિત ભારે ઉત્સાહ સાથે ગણેશ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે કોરોના મહામારીના કારણે આયોજકો દ્વારા ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણીને મોકૂફ રાખવામાં આવી હતી. જોકે ગણેશ મહોત્સવને લોકોએ પોતાના ઘર આંગણે જ સાદાઈથી ઉજવી સરકારને સહયોગ આપ્યો હતો. સરકારની ગાઈડલાઇન પ્રમાણે મોઢે માસ્ક, સેનેટાઈઝર સહિત સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે અંકલેશ્વરના કૃપાનગરમાં રહેતા શ્રીજી ભક્તોએ ઘરના આંગણે જ ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કર્યું હતું. “ગણપત્તિ બાપ્પા મોરયા”ના નાદ સાથે કૃપાનગર સોસાયટીનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું, ત્યારે કોરોનાના કાળરૂપી ચક્ર સામે ગણેશજી લોકોની રક્ષા કરે તે માટે તમામ શ્રીજી ભક્તોએ પ્રાર્થના કરી હતી.