ભરૂચની ઝાડેશ્વર ચોકડી નજીક એસટી બસ અને બાઇક વચ્ચે થયેલાં અકસ્માતમાં ખરોડ ગામના પતિ અને પત્નીના મોત નીપજયાં છે. બનાવ સંદર્ભમાં પોલીસે એસટી બસના ડ્રાયવર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ગત મોડી રાત્રીના સમયે ભરૂચનાં ઝાડેશ્વર ઓવરબ્રિજ પાસે આવેલ હોટલ ગ્રીનરી સામે એસ.ટી બસનાં ચાલકે પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી હતી. એસટી બસની ટકકર બાઇક આવી જતાં બાઇક સવાર મહિલા અને પુરૂષને ગંભીર ઇજા પહોંચી હતી. ગંભીર ઇજાના પગલે તેમના ઘટનાસ્થળે મોત નીપજયાં હતાં. મૃતકોની ઓળખ અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામમાં રહેતાં 37 વર્ષીય મુકેશ વસાવા અને 35 વર્ષીય રતનબેન વસાવા તરીકે થઇ છે. બંને પતિ-પત્ની બાઇક પર કામ અર્થે નીકળ્યાં હતાં જયાં એસટી બસ તેમના માટે યમદુત બનીને આવી હતી. બનાવની જાણ થતાં પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યાં હતાં અને બસના ડ્રાયવર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.