Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: ખેતીલાયક વરસાદ વરસતા ધરતીપુત્રોએ વાવણીકાર્યના કર્યા શ્રી ગણેશ, ડાંગર અને કપાસનું વ્યાપક વાવેતર

અંકલેશ્વર હાંસોટ પંથકમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.

X

અંકલેશ્વર હાંસોટ પંથકમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને આ વખતે સ્થાનિક ખેતી ક્ષેત્રમાં કપાસ અને ડાંગરના પાકનું વાવેતર તરફ ધ્યાન અપાય રહ્યુ છે.

સમયસર વરસાદના અમી છાંટણા થતા અંકલેશ્વર હાંસોટ પંથકમાં ખેડૂતોએ પોતપોતાના ખેતરોમાં માટીને સમતળ અને ખેડાણની શરૂઆત મંગળવાર એટલે કે તા.૪ જુલાઈથી શ્રીફળ વધેરીને કરી હતી.આજ રોજથી વાવણીના કાર્યનો શુભારંભ કર્યો છે મોટેભાગે ડાંગર અને કપાસનો પાક લેવા સ્થાનિક ખેડૂતોએ તૈયારીઓ આદરી દીધી છે. ચોમાસાનો વિધિવત અને સમયસર પ્રારંભ થતા ખેડૂતો આશા રાખી રહ્યા છે કે છે કે આ સિઝનમાં પાક સારો ઊતરે. સામાન્ય રીતે સારા પાકનો મોટાભાગનો આધાર ચોમાસુ સીઝન પર હોય છે.હાલ તો સ્થાનિક તાલુકાઓમાં ખેડૂતોએ બીજ રોપવાની શરૂઆત કરી દીધી છે. વરસાદ ઉપરાંત નહેર અને નદીઓમાં નવા નીર આવતા ખેડૂતોને વાવણી અંગેની ચિંતા દૂર થઈ ચૂકી છે.હાલ તો સારો પાક ઊતરે એ માટે ખેડૂતો ખેત મજૂર સાથે ખેતી કરવા લાગ્યા છે. અંકલેશ્વર હાંસોટ પંથકમાં ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોએ સૌથી વધુ કપાસ, ડાંગરના પાકનું વાવેતર શરૂ કરી દીધુ છે. ગત વર્ષે ચોમાસુ વરસાદ અનિશ્ચિત બની રહ્યો હતો. જોકે આકાશી રોજી ઉપર નભતા ખેડૂતોએ વરસાદને કારણે વાવણીના શ્રીગણેશ તો કર્યા છે પરંતુ, સારા પાક માટે બધો આધાર મેઘરાજાના મુડ પર આધારીત હોય છે.અંકલેશ્વર હાંસોટ તાલુકાની હજારો હેક્ટર જમીનમાં ખેડૂતો મોટેભાગે ડાંગરના પાકની વાવણીની કામગીરીનો પ્રારંભ કરી રહ્યા છે.અંકલેશ્વર તાલુકામાં અંદાજે ૨૨૦૦ હેકટર જમીનમાં ડાંગરનો પાક લેવાય તેવો અંદાજ છે. જ્યારે હાંસોટ તાલુકામાં અંદાજે ૧૩૦૦ હેકટર જમીનમાં સ્થાનિક ખેડૂતોએ ડાંગરનું વાવેતર હાથ ધરનાર છે તેવો અંદાજ મુકાય રહ્યો છે.

Next Story