Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : ONGC ખાતે દશેરા પર્વે રામલીલાનું ભવ્ય આયોજન, જનમેદની વચ્ચે 50 ફૂટ ઊંચા રાવણનું થશે દહન...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ONGC કોલોની ખાતે વિવિધતામાં એકતાના રૂપે નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવે છે

X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ONGC કોલોની ખાતે વિવિધતામાં એકતાના રૂપે નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવે છે, જ્યાં એક તરફ નવરાત્રી તો બીજી તરફ બંગાળી સમાજ દુર્ગા પૂજાનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત ઉત્તર ભારતીય સમાજ દ્વારા દશેરા પર્વે રામલીલાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવે છે.

રાજ્યના સૌથી મોટા રાવણ દહનના આયોજનો પૈકી એક ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ONGC દ્વારા આયોજન કરવામાં આવતું હોય છે. છેલ્લા 48 વર્ષથી ONGC કોલોનીના મેદાન ખાતે રાવણ દહનનો કાર્યક્રમ યોજાય છે, જ્યાં છેલ્લા 40 દિવસથી રાવણ, કુંભકર્ણ અને મેઘનાથના પૂતળા બનાવવામાં આવી રહ્યા છે, ત્યારે 50 ફૂટના રાવણ, 47 ફૂટના કુંભકર્ણ અને 47 ફૂટના મેઘનાથના કદાવર પૂતળાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. 150 કિલો પેપર પસ્તી, 1300 કિલો નવા કાગળ, 300થી વધુ વાસ, 500 મીટર સાડી સહીત 50 લિટર કલર તેમજ અન્ય સામગ્રીનો ઉપયોગ કરી પૂતળા બનાવવા માટે થાય છે. દશેરાના દિવસે ભગવાન રામના હસ્તે રાવણના વધ બાદ પૂતળાઓનું દહન કરવામાં આવે છે, જ્યાં હજારોની સંખ્યામાં લોકો રાવણ દહનને જોવા માટે ઉમટી પડતા હોય છે. વિવિધતામાં એકતા ધરાવતા અંકલેશ્વરમાં દેશના અલગ અલગ રાજ્યોમાંથી લોકો રોજગારી માટે સ્થાયી થયા છે, ત્યારે તેઓ પોતાના તહેવારોની પરંપરાગત રીતે ઉજવણી કરી સંસ્કૃતિને જીવંત અને ધબકતી રાખતા હોય છે, ત્યારે ભરૂચમાં પણ રાવણ દહનના કાર્યક્રમો નવલાં નોરતા બાદ દશેરાના દિવસે આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયના વધામણા લેવામાં આવે છે.

Next Story