Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃતી રેલી યોજી, મતદારો જોગ કંકોત્રી લખી મતદાન કરવા અપીલ કરી

આમ તો લગ્નની જાન નીકળે એટલે શહેનાઈ અને સંગીતની સુરાવલી વચ્ચે જાનૈયાઓ ઝૂમી ઉઠતા હોય છે.

X

આમ તો લગ્નની જાન નીકળે એટલે શહેનાઈ અને સંગીતની સુરાવલી વચ્ચે જાનૈયાઓ ઝૂમી ઉઠતા હોય છે, ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના માર્ગો ઉપર અનોખી જાન નીકળી હતી. અંકલેશ્વરના પત્રકારોએ મતદારોને જાગૃત કરવા જાન સ્વરૂપે મતદાર જાગૃતતા રેલી યોજી હતી.

ભરૂચ જિલ્લા લોકસભા બેઠક માટે આગામી તા. 7 મેંના રોજ યોજાનાર ચુંટણી અગાઉ મતદારોને પોતાના મતાધિકારનો અચૂક ઉપયોગ કરવા પ્રેરિત કરવા વહીવટી તંત્ર ઉપરાંત વિવિધ સંસ્થાઓએ જે સામુહિક પ્રયત્નો આદર્યા હતા, તેમાં અંકલેશ્વરના પત્રકારોએ નવતર અભિગમ સાથે મતદાર જાગૃતતા રેલી યોજી હતી. અંકલેશ્વરના સમસ્ત પત્રકાર સમુદાયે લોકશાહીનો આ મહાપર્વને ઉત્સવની રીતે ઉજવાય તે માટે ખાસ મતદારોને મત આપવા અપીલ કરતી અનોખી કંકોત્રી પ્રકાશિત કરી મતદાર જાગૃતતા રેલી દરમ્યાન તેનું વિતરણ કર્યું હતુ. અંકલેશ્વર નગરપાલિકાના વિવિધ રહેણાંક વિસ્તારમાં આ રેલી ફરી હતી. જેમાં લગ્ન પ્રસંગમાં જેમ જાન નીકળે તેવો માહોલ ઉભો કરાયો હતો. રેલીની સાથે સાથે 2 સ્થળોએ લોકોને મતદાર માટે પ્રેરિત કરતા સિગ્નેચર કેમ્પેઇન બોર્ડ મુકાયા હતા. જેમાં રાહદારીઓએ ઉત્સાહભેર પોતાના હસ્તાક્ષર કરી "હું મત આપીશ મારા પરિવાર સાથે" એવી અપીલને આત્મસાત કરી હતી. શહેનાઈની સુરાવલી સાથે આ રેલી અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઇ, ત્યારે આકર્ષણનું કેન્દ્ર બની હતી તો કેટલીક સંસ્થાઓએ રેલીનું માર્ગમાં સામૈયુ પણ કર્યું હતું.

Next Story