Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : "ચોથી જાગીરનું ચિંતન" વિષય પર સેમિનાર યોજાયો, તજજ્ઞોએ આપ્યું માર્ગદર્શન...

અંકલેશ્વર નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વર ખાતે "ચોથી જાગીરનું ચિંતન" વિષય પર વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના પ્રિન્ટ તેમજ ઈલેક્ટ્રોનિકસ માધ્યમોના પત્રકાર સમુદાય તથા અંકલેશ્વર નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વર ખાતે "ચોથી જાગીરનું ચિંતન" વિષય પર વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની ઈ.એન.જીનવાલા હાઈસ્કૂલ સંકુલમાં શારદા ભવન હોલ ખાતે અંકલેશ્વરના પ્રિન્ટ તેમજ ઈલેક્ટ્રોનિકસ માધ્યમોના પત્રકાર સમુદાય તથા અંકલેશ્વર નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે "ચોથી જાગીરનું ચિંતન" વિષય પર સેમિનાર યોજાયો હતો. સમગ્ર કાર્યક્રમની શરૂઆત દીપપ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. સેમિનારના પ્રારંભે કોરોના કાળમાં દિવંગત પત્રકારો, મીડિયાકર્મીઓને 2 મિનિટનું સામૂહિક મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તજજ્ઞો ધ્વારા પત્રકારત્વના વિવિધ પાસાઓ અને સોશ્યલ મીડિયાની ઉપયોગિતા અંગે રસપ્રદ વિચારો વ્યક્ત કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

વરિષ્ઠ પત્રકાર વિક્રમ વકીલે સાંપ્રત સમયમાં પત્રકારત્વની વિશ્વસનીયતા વિષય પર રસપ્રદ વિચારો વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, જનતાનો વિશ્વાસ સંપાદન કરી વિશ્વસનીય સમાચારો પીરસીને સમાજસેવાનો ભાગ બની શકાય છે. સમાચાર સમૂહોએ એકપક્ષીય ન બની સર્વને હિતકારી લેખન કરવું એ તેમની પ્રાથમિક ફરજ છે. પરંતુ ઝડપી સમાચાર આપવાની દોડમાં ઘણીવાર આ વિશ્વસનીયતા દાવ પર લાગી ન જાય એ પણ સાવધાની રાખવા તેમણે જણાવ્યું હતું. ફિલ્મ અને સ્પોર્ટ્સ પત્રકારત્વ હવે ધીમે ધીમે લુપ્ત થઈ રહ્યું છે, જેના કારણમાં સ્પોન્સરશીપનો વધતો પ્રભાવ છે. રાષ્ટ્રીય સ્તરે મીડિયાકર્મીઓમાં એકતાની ભાવના મજબૂત થાય એ જરૂરી છે એવો મત તેમણે વ્યક્ત કર્યો હતો.

અમદાવાદના ઈલેક્ટ્રોનિક મીડિયા અને કનેક્ટ ગુજરાત સાથે સંકળાયેલા જાણીતા પત્રકાર ભૌમિક વ્યાસે ઇલેક્ટ્રોનિક મીડિયા સામેના પડકારો અંગે વિસ્તૃત વિગતો આપતા કહ્યું હતું કે, વેબ મીડિયા, સોશ્યલ મીડિયાના વધતા પ્રભાવ અને માહિતીના ધોધ વચ્ચે જરૂરી અને સાચી માહિતી લોકો સુધી પહોંચાડવાની જવાબદારી મીડિયાની છે. ન્યુઝ ચેનલોની કામગીરી રિઅલ ટાઈમમાં કરવાની હોય છે. દોડધામ કરીને રિપોર્ટિંગ સંઘર્ષભર્યું અને પડકારજનક હોય છે, પરંતુ તેનો આનંદ પણ વિશેષ હોય છે.

ભરૂચ જિલ્લાના સોશ્યલ મીડિયા તજજ્ઞ ડૉ. ખુશ્બુ પંડ્યાએ વધી રહેલા સોશ્યલ મીડિયાના પ્રભાવ અને તેની અસરો અંગે જણાવ્યું હતું કે, સોશ્યલ મીડિયા હવે માત્ર મનોરંજન માટે નહીં, પણ માનવજીવનનું અભિન્ન અંગ બની ગયું છે. જેમ એક સિક્કાની બે બાજુ હોય છે, તેમ સોશિયલ મીડિયાના પણ સારા-ખરાબ પરિબળો છે. જેથી ફોરવર્ડેડ મેસેજીસ, ફેક ન્યુઝ અને આધારહીન વિગતો અને રજૂઆતથી બચવાની શીખ પણ તેમણે આપી હતી. તેમણે ડિજિટલ માધ્યમો થકી હકીકતલક્ષી વિગતો, સમાચારો રજૂ થાય અને આધારહીન વિગતોના સ્થાને વાસ્તવિક ન્યુઝ લોકો સુધી પહોંચે એના પર વિશેષ તકેદારી રાખવા સૌને અનુરોધ કર્યો હતો.

અંકલેશ્વર ડીવાયએસપી ચિરાગ દેસાઈએ કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં મીડિયાની ઉપયોગિતા વિષય પર સંબોધન કરતા પત્રકારત્વને મિરર ઓફ ધ સોસાયટી તરીકે ગણાવ્યું હતું. તેમણે લો એન્ડ ઓર્ડર જળવાઈ રહે, સમાજમાં વર્ગવિગ્રહ ન ફેલાય, જનઆક્રોશ ઉત્પન્ન ન થાય એ પ્રકારે શુદ્ધ બુદ્ધિથી સમાચારનું પ્રસારણ, પ્રસિદ્ધિ કરવી જોઈએ. ઘણીવાર ઉત્સાહમાં એવું લખાણ પ્રસિદ્ધ થઈ જતું હોય છે, જે આરોપીના બચાવમાં મદદગાર બને છે, અને આરોપીને કડક સજામાંથી છટકવાની તક મળે છે એમ જણાવતાં સમાજમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મીડિયાકર્મીઓનું મોટું યોગદાન હોવાનું ઉમેર્યું હતું.

ભરૂચના વરિષ્ઠ પત્રકાર અને ચેનલ નર્મદાના ડિરેક્ટર હરીશ જોષીએ પ્રાસંગિક ઉદ્દબોધનમાં પોતાના અનુભવો વર્ણવીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સેમિનારનું કુશળ સંચાલન અંકલેશ્વર પ્રેસ ક્લબના પ્રમુખ દેવાનંદ જાદવે કર્યું હતું. તજજ્ઞ વક્તાઓને આવકારતા પ્રેસ ક્લબની વૈવિધ્યસભર પ્રવૃત્તિઓની ઝલક વર્ણવી હતી. આ વેળાએ અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવાએ પ્રસંગોચિત્ત ઉદબોધન કરી મીડિયાલક્ષી વિચાર વિમર્શના આ પ્રયાસને આવકાર્યો હતો. સમગ્ર સેમિનારમાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના પ્રમુખ જયોતિન્દ્ર ગોસ્વામી, અંકલેશ્વર જર્નાલિસ્ટ એસોસિએશનના જીતેન્દ્ર પટેલ સહિત પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં વીર નર્મદ યુનિવર્સિટીના જર્નલિઝમ-માસ કોમ્યુનિકેશન વિભાગના પત્રકારત્વના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story