ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના બી’ ડિવિઝન વિસ્તારમાં આવેલ હવા મહેલ નજીકની ખુલ્લી જગ્યામાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. બનાવના પગલે અંકલેશ્વર ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં હવા મહેલને જોડતા માર્ગ ઉપર આજરોજ સવારના સમયે રસ્તાની બાજુમાં આવેલ એક ખુલ્લી જગ્યામાં એક યુવકનો ઈજાગ્રસ્ત હાલતમાં મૃતદેહ નજરે પડતા ભારે ચકચાર મચી હતી. બનાવ અંગેની જાણ સ્થાનિકો દ્વારા અંકલેશ્વર પોલીસ મથકે કરવામાં આવતા ડીવાયએસપી ચિરાગ દેસાઈ સહિત બી’ ડિવિઝન પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જ્યાં મૃતદેહનો કબ્જો મેળવી ઘટના અંગે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, રસ્તાની બાજુમાં જ મળી આવેલ મૃતદેહને જે પ્રકારે ઇજા પોહોંચી છે તે જોતા પ્રથમ દ્રષ્ટિએ યુવકની હત્યા થઈ હોવાનું જણાય આવે છે. કારણ કે મૃતદેહ નજીકથી લોહીના ડાઘાવાળો પથ્થર પણ મળી આવ્યો છે, ત્યારે હાલ તો પોલીસે મૃતક યુવકની ઓળખ વિધિ સહિત આગળની કાર્યવાહી હાથ ધરી છે.