Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : હવા મહેલ નજીક થયેલ અજાણ્યા યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો, એક શખ્સની ધરપકડ

અંકલેશ્વર હાઇવે પર વાલિયા ચોકડી નજીક હવા મહેલ પાસે આવાવરુ જગ્યાએથી અજાણ્યા યુવાનનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો

X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર હાઇવે ઉપર વાલિયા ચોકડી નજીક હત્યા કરાયેલ હાલતમાં મળી આવેલ યુવાનના મૃતદેહ મામલે ભેદ ઉકેલાયો છે. ગત તા. 24 માર્ચે અંકલેશ્વર હાઇવે પર વાલિયા ચોકડી નજીક હવા મહેલ પાસે આવાવરુ જગ્યાએથી અજાણ્યા યુવાનનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. સમગ્ર મામલે અંકલેશ્વર બી’ ડિવિઝન અને LCB પોલીસની ટીમોએ તપાસ હાથ ધરી હતી. જેમાં પીરામણ ગામ હવા મહેલ આસપાસના સીસીટીવી ચેક કરતા મૃતક અન્ય 2 લોકો સાથે જોવા મળ્યો હતો. જેના સીસીટીવી અને તસવીરો કાઢી આસપાસમાં બતાવતા મૃતક અને તેની સાથે રહેલા 2 લોકોની ઓળખ થઈ હતી....

જેમાં 20 વર્ષીય મૃતક મૂળ નંદુરબારનો જ્યંતીલાલ તડવી હોવાનું બહાર આવ્યું હતું. વાલિયા સર્વિસ રોડ ઉપર ડેરી નજીક રહેતો આ યુવાન છેલ્લે 23 માર્ચે સાંજે 2 ઈસમો સાથે જોવા મળ્યો હતો. સીસીટીવી ફૂટેજ, હ્યુમન ઇન્ટેલિજન્સથી જ્યંતી ભરત ગોઝારીયા અને રાજુ લંગડા સાથે ડેરી નજીક રહેતો હોવાનું બહાર આવ્યું હતું. ત્રણેય લોકો ગત તા. 23 માર્ચે પીરામણ ગામે પાલો વેચી ડેરી પાસે રાતે સુવા પરત આવ્યા હતા, જ્યાં રાજુ અને ભરતે જ્યંતી સાથે ઝઘડો કરી તેને કપાળ તેમજ માથાના ભાગે પથ્થર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. તપાસ ટીમોએ વાલિયા ચોકડી ઝૂપડપટ્ટીમાંથી ભરતને ઝડપી વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે, જ્યારે હાલ પોલીસ દ્વારા ફરાર રાજુની શોધખોળ કરવામાં આવી રહી છે...

Next Story