ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં આવેલ પૌરાણિક રામકુંડની કથા રામ-જાનકી સાથે સંકળાયેલી હોવાનું માનવામાં આવે છે. શું તમે જાણો છો..?, અંકલેશ્વર સ્થિત રામકુંડને રામકુંડ કેમ કહેવામાં આવે છે. તો જુઓ અમારો વિશેષ અહેવાલ...
રામકુંડ તીર્થએ ભરૂચ જિલ્લા અંકલેશ્વર શહેરના હાંસોટ માર્ગ પર આવેલ ધરોહર છે. રામકુંડ પૌરાણીક ઇતિહાસ સાથે સંકળાયેલ છે. રામકુંડને તીર્થ રામકુંડ એટલા માટે કહેવામાં આવે છે કે, ભગવાન રામ જાનકી સાથે અહીં પધાર્યા હતા. સજોદથી આવતી વેળાએ માતાજીને પીવાના પાણીની તરસ લાગી. તે સમયે ભગવાન રામે અહીં તીર માર્યું હતું, અને નર્મદા માઁ અહીં પ્રગટ થયા હતા. ત્યારથી જ આ સ્થળને રામકુંડ કહેવામાં આવે છે. રામકુંડ તીર્થનો રેવાખંડ, નર્મદા પુરાણમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અહીં ઘણા સંતો, મહાપુરુષો, સિદ્ધો થઈ ગયા છે. નર્મદા પરિક્રમા માટે આવતા હજારો પરિક્રમાવાસીઓ પરિક્રમા દરમિયાન રામકુંડ ખાતે આશ્રય મેળવે છે. આ સ્થળે મહંત ગંગાદાસબાપુ અને તેઓના અનુયાયીઓ દ્વારા નર્મદા પરિક્રમા માટે આવતા પરિક્રમાવાસીઓને રહેવા-જમવા અને આરોગ્ય સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે. જેથી પરિક્રમા માટે આવતા નર્મદા પરિક્રમાવાસીઓને સરળતા રહે. રામકુંડ તીર્થ ઉપર અમરકંટકથી રેવાસાગર સુધી નર્મદા પરિક્રમા કરતા પરિક્રમાવાસીઓ આવી રહ્યા છે. ચાલુ વર્ષેમાં નર્મદાની કૃપાથી દરરોજ 1 હજારથી 1500 પરિક્રમાવાસીઓ રામકુંડ પર આવે છે. રામકુંડ સ્થિત ભગવાન રામ અને જાનકીના નામથી રામ-જાનકી ગૌશાળા પણ આવી છે. અહીં લગભગ નાની મોટી 110 જેટલી ગાય છે.