Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : રામકુંડ તીર્થધામ ખાતે શ્રી રામચરિત માનસ કથામાં ભવ્ય લોક ડાયરો યોજાયો, નામી કલાકરોએ ભજનની રમઝટ બોલાવી

લોક સાહિત્યકાર ઘનશ્યામ પરમાર અને લોક ગાયીકા મનીષા પાઘડીએ ભજનની રમઝટ બોલાવી સૌને ભક્તિ રસમાં તરબોળ કરી દીધા હતા

X

રામકુંડ તીર્થધામ ખાતે શ્રી રામચરિત માનસ કથા યોજાય

ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસથી કથાનો કરાયો છે પ્રારંભ

કથા દરમ્યાન ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું

નામી સુરસમ્રાટ કલાકરોએ સુંદર ભજનની રમઝટ બોલાવી

મોટી સંખ્યામાં સંતો-મહંતો, ધર્મ પ્રેમી જનતા ઉપસ્થિત રહી

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના રામકુંડ તીર્થધામ ખાતે શ્રી રામચરિત માનસ કથામાં સૂરીલી સંતવાણી અંતર્ગત લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. હિન્દુ ધર્મ દ્રષ્ટિમાં શ્રદ્ધા ભક્તિ, સાકાર, નિરાકાર, લૌકિક, અલૌકિક જ્ઞાન સંગમથી સનાતન સંસ્કૃતિ જળવાઈ રહી છે, ત્યારે તેના જતન અને સંવર્ધન માટે ધર્મ ભાવનાથી પ્રેરાઈને શ્રી સીતારામજી તથા હસમુખ હનુમાનજીની અસીમ કૃપાથી ત્યાગી મહારાજ અને રામાનંદ દાસજીના આશીર્વાદથી અંકલેશ્વરના પૌરાણિક તીર્થધામ રામકુંડના પટાંગણ ખાતે શ્રી રામચરિત માનસ કથાનો ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસથી પ્રારંભ થયો છે.

બાલ સંત પ્રિયાંશુ મહારાજ કથાનું રસપાન પોતાની આગવી શૈલીમાં કરી શ્રાવકોને ભક્તિરસમાં તરબોળ કરી રહ્યા છે, ત્યારે 9 દિવસ ચાલનારી કથામાં દરેક દિવસે અલગ અલગ પ્રસંગની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ગત તા. 14 માર્ચના રોજ લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં સુરસમ્રાટ બિરજુ બારોટ, લોક સાહિત્યકાર ઘનશ્યામ પરમાર અને લોક ગાયીકા મનીષા પાઘડીએ ભજનની રમઝટ બોલાવી સૌને ભક્તિ રસમાં તરબોળ કરી દીધા હતા. આ પ્રસંગે રામકુંડ મંદિરના મહંત ગંગાદાસ બાપુ, સુરત-અમરોલીના કિન્નર અખાડાના વંદનાબા, કોહાનાના મહંત જાનકીદાસ બાપુ, સુરતના જીજ્ઞેશ દાસજી માધવપ્રિય સ્વામી, હરિદ્વારના મહંત દામોદરદાસ બાપુ અને જયરામદાસ બાપુ સહીતના સંતો સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા

Next Story