ભરૂચ: શ્રમિકોની સારવાર અર્થે જિલ્લામાં 4 ધન્વંતરિ આરોગ્ય રથનું કલેકટરે કરાવ્યુ પ્રસ્થાન
સામાન્ય રીતે બાંધકામ સાઈટ પર કામ કરતા શ્રમિકો કોઈને કોઈ ઇજાના ભોગ બને છે ત્યારે તેમને કામ છોડીને હોસ્પિટલના ધક્કા ખાવા પડે છે
સામાન્ય રીતે બાંધકામ સાઈટ પર કામ કરતા શ્રમિકો કોઈને કોઈ ઇજાના ભોગ બને છે ત્યારે તેમને કામ છોડીને હોસ્પિટલના ધક્કા ખાવા પડે છે ત્યારે ગુજરાત સરકારની ધન્વંતરિ આરોગ્ય રથ યોજના અંતર્ગત ભરૂચ શ્રમયોગીઓ માટે ભરૂચ જિલ્લામાં નવા 4 ધન્વંતરી આરોગ્ય રથ ફાળવવામાં આવ્યા છે. જેમાં 108ની જેમ શ્રમિક સહાયક હેલ્પલાઇન 155372 પર સંપર્ક કરતા ત્વરિત સારવાર આપવામાં આવશે.ધન્વંતરિ આરોગ્ય રથ યોજના અંતર્ગત બાંધકામ શ્રમયોગીઓને બાંધકામ સાઈટ, કડિયાનાકા અને બાંધકામ વસાહત ઉપર વિનામુલ્યે પ્રાથમિક સારવાર મળી રહે તે માટે ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાએ લીલી ઝંડી બતાવી ધન્વંતરિ આરોગ્ય રથનું કલેકટર કચેરી ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું.શ્રમિકોની સહાયતા માટે કાર્યરત શ્રમિક સહાયક હેલ્પલાઇન 155372 સેવાનો લાભ શ્રમિકો લઈ શકશે. ઉલ્લેખનીય છે કે આ ધનવંતરી રથની હેલ્પલાઇન થકી સરકારની શ્રમિકો માટેની કલ્યાણકારી યોજનાઓ જેવી કે, ધનવંતરી આરોગ્ય રથ, આકસ્મિક મૃત્યુ સહાય યોજના, શ્રમિક અન્નપૂર્ણા યોજના, ગો-ગ્રીન શ્રમિક યોજના, શ્રમિક પરિવહન યોજના, વ્યવસાયિક રોગોમાં સહાય યોજના સહીતની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી મેળવી શકે છે.