ભરૂચ : વૈદિક હોળીનો માહોલ જામતા લાકડાના વેચાણમાં ઘટાડો, પર્યાવરણ પ્રત્યે લોકોમાં જાગૃતિ એક આવકારદાયક પગલું...
દર વર્ષે 80 હજાર કિલો કરતાં વધારે લાકડાનો ઉપયોગ હોળીના તહેવારમાં થતો હોય છે. ગણેશ મહોત્સવ બાદ હવે અન્ય તહેવારો પણ ઇકો ફ્રેન્ડલી બની રહ્યા છે.
ભરૂચ શહેર તથા જિલ્લામાં હોળી-ધુળેટીના પર્વનો ધમધમાટ જોવા મળી રહ્યો છે, ત્યારે વૈદિક હોળીના વધતાં ચલણના કારણે લાકડાના વેચાણમાં ઘટાડો નોંધાયો છે.
દર વર્ષે 80 હજાર કિલો કરતાં વધારે લાકડાનો ઉપયોગ હોળીના તહેવારમાં થતો હોય છે. ગણેશ મહોત્સવ બાદ હવે અન્ય તહેવારો પણ ઇકો ફ્રેન્ડલી બની રહ્યા છે. દિવાળીએ ઇકો ફ્રેન્ડલી ફટાકડા બાદ હોળીએ ઇકો ફ્રેન્ડલી કલર, પાણીનો બચાવ સાથે કેમિકલયુક્ત કલર, લાકડાનો ઉપયોગ પણ દર વર્ષે ઘટી રહ્યો છે. ગામ તેમજ સોસાયટી વચ્ચે સામુહિક એક જ હોળી, પ્રાકૃતિક, વૈદિક હોળીના છેલ્લા 4થી 5 વર્ષથી વધતાં ચલણને લઈ વૃક્ષો તેમજ પર્યાવરણનું જતન થઈ રહ્યું છે. આ હોળી પર્વે લાકડાના ભાવો ગત વર્ષ જેટલા છે, પણ વેચાણ ઘટ્યું છે. ભરૂચ શહેરમાં વર્ષોથી લાકડાનો વ્યવસાય કરતા વેપારીએ જણાવ્યુ હતું કે, લાકડાનો ભાવ વધ્યો નથી, તેની સામે હોળીની સંખ્યા વધી છે. છતાં લાકડાના વેચાણમાં ભારે ઘટાડો છે. જેની પાછળ વૈદિક, પ્રાકૃતિક હોળી અને છાણાનો વધતો જતો વપરાશ કરણભૂત છે. પહેલા એક હોળી પ્રગટાવવા પાછળ 10થી 20 મણ એટલે કે, 200થી 400 કિલો લાકડાં દહન થતા હતા. ભરૂચ જિલ્લામાં સરેરાશ નાની મોટી થઈ 2 હજારથી પણ વધુ હોળી પ્રગટતી હશે. જેને લઈ અનુમાન લગાવીએ તો 40થી 80 હજાર કિલો લાકડાનું દહન થાય છે. જે જોતા હજારો વૃક્ષ અને પર્યાવરણનું નિકંદન નીકળે છે. જેની સામે હવે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને જતનની ભાવનાને લઈ લાકડાનો ઉપયોગ ઘટતા મહામુલા વૃક્ષો બચી રહ્યાં છે. જે એક આવકારદાયક પગલું ગણી શકાય તેમ છે.