ભરૂચ : ઓમકારનાથ હોલ ખાતે જિલ્લા કક્ષાનો "ગુજરાત ગૌરવ અભિયાન" કાર્યક્રમ યોજાયો
ભરૂચ જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાં તૈયાર થયેલાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓને ચાવી આપી આવાસો સુપ્રત કરવામાં આવ્યા હતા.
ગુજરાત ગૌરવ અભિયાન અંતર્ગત ભરૂચ શહેરના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે ગુજરાત વિધાનસભાના ઉપ દંડક અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલના અધ્યક્ષસ્થાને વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. સરકારની યોજનાઓના તમામ લાભો છેવાડા લાભાર્થી સુધી કેવી રીતે પહોચે તે માટે સરકાર સતત કાર્યરત છે, ત્યારે ભરૂચ જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાં તૈયાર થયેલાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓને ચાવી આપી આવાસો સુપ્રત કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત આયુષ્માન કાર્ડ યોજનાનો લાભ લેવા આહવાન કરવામાં આવ્યું હતું. માતા અને બાળક બન્ને તંદુરસ્ત તો દેશનું ભાવિ તંદુરસ્ત રહે તે દિશામાં સરકાર ફરી એક કદમ આગળ આવી મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનું અમલીકરણ શરૂ કર્યુ છે. જે અંતર્ગત બાળક અને માતા સશક્ત બને, તંદુરસ્ત રહે, બાળક 2 વર્ષનું થાય ત્યાં સુધી સગર્ભા માતા અને ધાત્રી માતાઓને પૂરતા પોષણ માટે કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પા પટેલ, નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના વડા સી.વી.લત્તા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.