/connect-gujarat/media/post_banners/6b4efd8105cceeaa8fe192784d429f4ac0df9580992848baad8f02548b89b8c9.jpg)
છત્તીસગઢ રાજ્યના હસદેવ ક્ષેત્રમાં કોલસાના ખનન માટે જંગલનો વિનાશ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે પર્યાવરણ અને વન્યજીવો મૃતપાય બની રહ્યા છે, જ્યારે જંગલમાં વસતા આદિવાસીઓને વિસ્થાપન અંગે ભરૂચ ખાતે ભારતીય ટ્રાયબલ ટાઈગર સેનાના કાર્યકરોએ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.
ભરૂચ કલેક્ટર કચેરી ખાતે ભારતીય ટ્રાયબલ ટાઈગર સેનાએ આપેલા આવેદન પત્રમાં જણાવાયું છે કે, ગત તા. 21મી ડિસેમ્બર 2023ના રોજ છત્તીસગઢના હસદેવ ક્ષેત્રમાં આવેલા આદિવાસી ગામોના સરપંચો તથા આદિવાસી યુવાઓને 500 જેટલા પોલીસ કર્મચારીઓ દ્વારા અટકાયત કરીને હસદેવ ક્ષેત્રના 30 હજારથી વધુ વૃક્ષો કાપી નાંખીને પર્યાવરણ, વન્યજીવો, જૈવવિવિધતા અને ત્યાં વસતા આદિવાસીઓ સાથે સાથે સમગ્ર દેશના લોકોને ખૂબ મોટા પાયે નુકશાન પહોંચાડવામાં આવ્યું છે. હસદેવ ક્ષેત્રના જંગલને ભારતના ફેંફસા તરીકે ઓળખવામાં આવે છે. આ ક્ષેત્ર અસંખ્ય જીવોનું આશ્રય સ્થાન છે. જેમાં હાથી, વાઘ અને અન્ય કેટલાય લુપ્તપ્રાય જીવોનો સમાવેશ થાય છે. આ જંગલો 10 હજાર આદિવાસીઓનું નિવાસસ્થાન છે, જેમનું જીવન સંપૂર્ણપણે જંગલ પર જ આધારિત છે. આ જંગલને નુકશાન પહોંચાડવાથી ભારત દેશની આબોહવા અને ઋતુચક્રને ખૂબ મોટાપાયે નુકશાન થશે. જે આવનારા ભવિષ્ય માટે ખૂબ નુકશાનકારક સાબિત થનાર છે. જેથી વહેલી તકે આ કામગીરી રોકવામાં આવે તેવી ભારતીય ટ્રાયબલ ટાઈગર સેનાએ માંગ કરી છે.