Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ભાજપ દ્વારા કમળ પેઇન્ટિંગ અને બેઠક સાથે ચૂંટણી કાર્યવાહીનો ધમધમાટ, પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા રહ્યા ઉપસ્થિત

ઠેર ઠેર દીવાલ પર કમળના ચિત્ર સાથે ભરૂચની જનતાના દિલોમાં પણ કમળ ખીલવવા ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે,

X

ભરૂચ શહેર તથા જીલ્લામાં ઠેર ઠેર દીવાલ પર કમળના ચિત્ર સાથે ભરૂચની જનતાના દિલોમાં પણ કમળ ખીલવવા ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, ત્યારે ભરૂચમાં લોકસભાની બેઠકના આયોજનમાં રાજ્યના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા વિશેષ ઉપસ્થિત રહી ભાજપ 5 લાખ મતોની સરસાઈથી જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ગુજરાત સાથે ભરૂચ ભાજપ પણ આગામી લોકસભાની ચૂંટણી માટે સજ્જ બન્યું છે. ભરૂચ લોકસભા બેઠકની મિટિંગ પૂર્વ ગૃહમંત્રી અને ભરૂચ લોકસભા ક્લસ્ટર પ્રભારી પ્રદીપસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને ભરૂચના આત્મીય હોલ ખાતે આયોજિત કરાય હતી. જેમાં ગુજરાત ફરી 26માંથી 26 બેઠક પર કમળ ખીલવી ભાજપની હેટ્રીક લગાવશે, તેમ ભરૂચમાં લોકસભાની બેઠકના આયોજનમાં રાજ્યના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. બેઠક પહેલા પૂર્વ ગૃહમંત્રી, ભરૂચ જિલ્લા ભાજપ સંગઠન હોદેદારો, પ્રભારીઓના હસ્તે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે વોલ પેઇન્ટિંગનો કાર્યકમ યોજાયો હતો. જેમાં ભાજપના ઉમેદવાર તરીકે કમળને દીવાલ પર અંકિત કરી ભરૂચ લોકસભા માટે ભાજપનું આયોજન અને તૈયારીનો શંખનાદ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આત્મીય હોલ ખાતે મળેલી ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણી માટેની મિટિંગમાં ઐતિહાસિક મતોની સરસાઈથી ભરૂચ બેઠક પર ફરી એક વખત કમળ ખીલવવા આહવાન કરાયું હતું. પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ફરી એકવાર મોદી સરકારના સંકલ્પ સાથે અયોધ્યામાં 500 વર્ષના સંઘર્ષ બાદ રામ મંદિરની સ્થાપના સાથે રામરાજ્યની શરૂઆત દેશમાં થઈ છે. વિશ્વમાં ભારત ત્રીજી મહાસત્તા બને તેવો સવા સો કરોડ ભારતીયો અને ભાજપે નીર્ધાર કર્યો છે. જોકે, પૂર્વ ગૃહમંત્રીએ ભરૂચ બેઠક પર ઉમેદવારને લઈ આ નિર્ણય ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશેનું જણાવી, ભરૂચ બેઠક પર ચૂંટણી લડવા ઇચ્છુક આપના ચૈતર વસાવા, કોંગ્રેસના મુમતાઝ પટેલ અંગે મીડિયાને માત્ર ભાજપનું કમળ જ મોદી સરકારના નેતૃત્વમાં ખીલી ઉઠવાનો મત રજૂ કર્યો હતો.

મોદી સરકારના નેતૃત્વમાં વર્ષ 2014 અને 2019માં દેશમાં વિકાસ કૂચનો લાભ અને ફળ ભરૂચ લોકસભા બેઠકને પણ મળ્યા છે. ફરી વખત ગુજરાત 26માંથી 26 બેઠક ભાજપને આપી હેટ્રીક બનાવવા જઈ રહ્યું છે, તેવો ભરૂચ જિલ્લા ભાજપ સંગઠને વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાએ ભરૂચ લોકસભા બેઠક માટે આજે આયોજન અને કમળ પેઇન્ટિગ સાથે જિલ્લા ભાજપ સંગઠન વિજય વિશ્વાસના સંકલ્પ સાથે કામે લાગી ગયું હોવાનું જણાવ્યુ હતું. આ પ્રસંગે લોકસભા પ્રભારી અજય ચોકસી, સંગઠન પ્રભારી અશોક પટેલ, સંયોજક યોગેશ પટેલ, નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, મહામંત્રી નિરલ પટેલ, ફતેસંગ ગોહિલ, વિનોદ પટેલ, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા, પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ સહિત સંગઠનના હોદેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર ઉપસ્થિત રહ્યા હતા.

Next Story