ભરૂચ : માઁ નર્મદાના નીરનું પૂજન-અર્ચન અને દુગ્ધાભિષેક કરી માછીમારોએ કર્યો માછીમારીનો પ્રારંભ...

માછીમારોએ પાવન સલીલા માઁ નર્મદાના તટે હવન, ભજન, પ્રાર્થના અને દુગ્ધાભિષેક કર્યું હતું.

New Update
ભરૂચ : માઁ નર્મદાના નીરનું પૂજન-અર્ચન અને દુગ્ધાભિષેક કરી માછીમારોએ કર્યો માછીમારીનો પ્રારંભ...

સમગ્ર ગુજરાતની જીવાદોરી સમાન પાવન સલીલા માઁ નર્મદા લોકોની તરસ તો છીપાવે જ છે. પરંતુ સાથો સાથ તેના કાંઠે વસતા 15 હજારથી વધુ માછીમાર પરિવારોને રોજીરોટી પણ પુરી પાડે છે. જોકે, આ વર્ષે નર્મદા ખળખળ વહેતી હોવાના કારણે માછીમારોની રોજગારીમાં વધારો થાય તે માટે માઁ નર્મદાની પૂજા અર્ચના, દૂધનો અભિષેક કરી સારી રોજગારીની માછીમારો દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી હતી.

સમગ્ર વર્ષ દરમ્યાન પોતાનું અને પરિવારનું ભરણપોષણ કરવા માટે ભરૂચમાં વસતા માછી સમાજના લોકો પહેલા વરસાદની આતુરતાથી રાહ જોતા હોય છે. કારણ કે, પ્રથમ વરસાદ બાદ માછીમારો માછીમારીના ધંધાની શરૂઆત કરતા હોય છે. વરસાદી ઋતુના ચાર જુવાર દરમ્યાન તેઓને સમગ્ર વર્ષનું ભરણપોષણ મળી રહે છે, ત્યારે માછીમારી દરમ્યાન સાગર ખેડુઓની માતા રક્ષા કરે અને તેઓ સુરક્ષિત ઘરે પરત ફરે અને કોઈ મુશ્કેલી ન પડે, આ સાથે જ માછીમારીમાં સફળતા મળે તે ઉદ્દેશ્ય સાથે માછીમારોએ પાવન સલીલા માઁ નર્મદાના તટે હવન, ભજન, પ્રાર્થના અને દુગ્ધાભિષેક કર્યું હતું.