ભરૂચ : દહેજ ગામની આધ્યાત્મિક પ્રગતિ માટે પ્રથમવાર કાવડ યાત્રા નીકળતા શિવભક્તોમાં ઉત્સાહ...
શ્રાવણ માસ હિન્દુ ધર્મનો પવિત્ર મહિનો ગણવામાં આવે છે, જેનું ખૂબ મહત્વ રહેલું છે.
શ્રાવણ માસ હિન્દુ ધર્મનો પવિત્ર મહિનો ગણવામાં આવે છે, જેનું ખૂબ મહત્વ રહેલું છે. હિન્દુ સંસ્કૃતિની પરંપરા અનુસાર, શ્રાવણ માસમાં શ્રદ્ધાળુઓ દર્શન કરી ભગવાનના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવે છે, ત્યારે હાલ ચાલી રહેલ શ્રાવણ માસ નિમિત્તે ભરૂચ જિલ્લાના દહેજ ગામ ખાતે ગામમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ તેમજ ગામ લોકોની આધ્યાત્મિક પ્રગતિ થાય તે માટે ગામના આગેવાનો દ્વારા કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દહેજ ગામ પંચાયત પાસે આવેલ પંચવટી આશ્રમ ખાતે કાવડ યાત્રાનું પૂજન-અર્ચન કરી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. પંચવટી આશ્રમથી નીકળેલ કાવડ યાત્રાએ અનેરૂ આકર્ષણ જમાવ્યું હતું. સમગ્ર માર્ગ પર કાવડ યાત્રા સાથે જોડાયેલ શિવભક્તોએ ભજન કીર્તન સાથે ભોલેનાથનો જયકાર કરતાં વાતાવરણ ભક્તિમય બન્યું હતું. દહેજ ગામ ખાતે સૌપ્રથમ વાર કાવડ યાત્રા નીકળતા શિવભક્તોમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. આ કાવડયાત્રા દરિયા કિનારે આવેલ ભૂતનાથ મહાદેવના મંદિરે પહોંચી હતી, જ્યાં શિવજીને જળાભિષેક કરી પૂજા અર્ચન કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે ગામના સામાજિક આગેવાનો, ભાઈઓ-બહેનો અને મહિલા ભજન મંડળ સહિત મોટી સંખ્યામાં ગામના નવયુવાનો કાવડ યાત્રામાં જોડાયા હતા.