ભરૂચ: લોકસભા ચૂંટણીમાં ફોર્મ ચકાસણીની કામગીરી પૂર્ણ, હાલ 13 ઉમેદવારો મેદાને
ભરૂચ લોકસભા બેઠક પર આજરોજ ઉમેદવારી પત્રો ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં કુલ પાંચ ફોર્મ રદ કરવામાં આવ્યા છે..
ભરૂચ લોકસભા બેઠક પર આજરોજ ઉમેદવારી પત્રો ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં કુલ પાંચ ફોર્મ રદ કરવામાં આવ્યા છે આથી હવે ભરૂચ લોકસભા બેઠક પર હાલ સુધી 13 ઉમેદવારો મેદાને છે.
ભરૂચ લોકસભા બેઠક પર ચૂંટણીની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે આજરોજ ભરૂચ ચૂંટણી તંત્ર દ્વારા ભરાયેલા ઉમેદવારી પત્રોની ચકાસણીની કામગીરી મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. આ કામગીરી દરમિયાન ભાજપ તરફથી મહેન્દ્ર કંસારા ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા,ભારત આદિવાસી પાર્ટીના દિલીપ વસાવા સહિત અપક્ષ ઉમેદવારો હાજર રહ્યા હતા. લગભગ અઢીથી ત્રણ કલાક ચાલેલી આ કામગીરી દરમિયાન પાંચ ફોર્મ રદ કરવામાં આવ્યા છે. ભરૂચ લોકસભા બેઠક પર ફોર્મ ભરવાના અંતિમ દિવસ સુધીમાં કુલ 26 ઉમેદવારી પત્રો ભરાયા હતા જે પૈકી પાંચ ફોર્મ રદ કરવામાં આવ્યા છે આ સાથે જ ડમી ઉમેદવારના ફોર્મ પર રદ થતા હવે ભરૂચ લોકસભા બેઠક પર 13 ઉમેદવારો મેદાને છે જેમાં ભાજપ ઇન્ડિયા ગઠબંધન ભારત આદિવાસી પાર્ટી વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. કયા ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા તેના પર નજર કરીએ તો આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા, ભારતીય જનતા પાર્ટીના મનસુખ વસાવા,બહુજન સમાજ પાર્ટીના ચેતન વસાવા, માલવા કોંગ્રેસના ગીતાબેન માછી, ભારત આદિવાસી પાર્ટીના દિલીપ વસાવા અપક્ષ ઉમેદવારો ઇસ્માઇલ પટેલ, ધર્મેશ વસાવા, નવીન પટેલ નારણ રાવલ, મિર્ઝા આબિદ બેગ યાસીન બેગ, મિતેશ પઢિયાર,યુસુફ હસનઅલી અને સાજીદ યાકુબ મુનશીનું ફોર્મ માન્ય રહ્યું છે. આ તરફ સોમવારના રોજ ફોર્મ પરત ખેંચવાનો દિવસ છે ત્યારે સોમવાર બાદ જ ભરૂચ લોકસભા બેઠક પર કેટલા ઉમેદવારો ચૂંટણી લડશે તે સ્પષ્ટ થઈ શકશે.