ભરૂચ તાલુકાના જુના તવરા ગામે આહિર સમાજના અલગ અલગ ગોત્રના આહિર પરિવારો દ્વારા તેઓની કુળદેવી માતાજી ખોડીયાર માતા, મહાકાળી માતા, સિંધવાઈ માતા, મુગલાઈ માતા અને મેલડી માતા આમ આહીર સમાજના પાંચ અલગ અલગ ગોત્રના આહિર પરિવારોની કુળદેવી માતાના પાંચ દૈવી મંદિરનું ભવ્ય નિર્માણ કરવામાં આવ્યું છે, ત્યારે મંદિરને 11 વર્ષ પૂર્ણ થતા 11મા પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં પાંચ દૈવી મંદિરે નવચંડી યજ્ઞ, શ્રીફળ હવન, મહાપ્રસાદી સહિત પાંચ દૈવી મંદિરનો મહિમા દર્શાવતી ગુજરાતી ફિલ્મનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ સાથે જ રાત્રિના સમયે ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકગાયક ધર્મેશ બારોટ, દેવાંગી પટેલ, વિશ્વ ગઢવી સહિતના નામાંકિત કલાકારો દ્વારા ડાયરાની રમઝટ બોલાવવામાં આવી હતી.
તવરા પાંચ દૈવી મંદિરે 11મા પાટોત્સવ નિમિત્તે ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ, સાગર પટેલ અને નવા તવરા, જુના તવરા તથા આસપાસની સોસાયટી અને સમગ્ર જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં આહિર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.