ભરૂચ : પીરકાંઠી વિસ્તારમાં ઉભરાતી ગટરોથી બારેમાસ ચોમાસાનો અનુભવ કરતા વેપારીઓ..!

પીરકાંઠીમાં બારેમાસ ઉભરાતી ગટરોથી લોકો પરેશાન, માર્ગ બિસ્માર હોવાના કારણે ગટરના પાણી ફરી વળ્યા.

New Update
ભરૂચ : પીરકાંઠી વિસ્તારમાં ઉભરાતી ગટરોથી બારેમાસ ચોમાસાનો અનુભવ કરતા વેપારીઓ..!

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ પીરકાંઠીમાં બારેમાસ ઉભરાતી ગટરોના કારણે સ્થાનિકો 365 દિવસ ચોમાસાની ઋતુનો અનુભવ કરી રહ્યા હોવાના આક્ષેપ સાથે વિરોધનો સૂર ઉઠ્યો છે, ત્યારે અહી માર્ગ બિસ્માર હોવાના કારણે ગટરના ગંદા પાણીથી મચ્છરોના ઉપદ્રવથી ભયંકર રોગચાળો ફાટી નીકળવાની દહેશત ફેલાતા પાલિકા સામે લોકો આક્રોશ ઠાલવી રહ્યા છે.

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા RCC રોડ બનાવવા માટેની મંજુરી મળી હોવા છતાં અહી વર્ષોથી RCC રોડ ન બનતા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. પીરકાંઠી વિસ્તારમાં ઉભરાતી ગટરોના કારણે લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. અહીના સ્થાનિકો બારેમાસ ચોમાસાની ઋતુનો અનુભવ કરી રહ્યા છે. અહીના જાહેર માર્ગ પરથી આવતા જતાં બાળકો ખુલ્લી ગટરમાં ખાબકી જતા હોવાના પણ આક્ષેપો થયા છે, પરંતુ ભરૂચ નગરપાલિકાના પેટનું પાણી હલતું નથી.

જેના કારણે સ્થાનિકોમાં પણ આક્રોશ ફાટી નીકળ્યો છે. બિસ્માર માર્ગના કારણે વેપારી વર્ગ પણ પાયમાલ થયો છે. તો સાથે જ ગંદકી અને ઉભરાતી ગટરોના પાણીના કારણે ગ્રાહકો ખરીદી કરવા ન આવતા હોવાથી વેપારીઓને પણ ભારે નુકશાની વેઠવી પડે છે. પાલિકા દ્વારા કાંસની સફાઈ પણ માત્ર દેખાવા પૂરતી જ કરાતી હોવાથી લોકોની સમસ્યા ક્યારે હલ થશે તેવું પણ લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.

Read the Next Article

ભરૂચ: વરસાદના કારણે બિસ્માર બનેલા માર્ગોનું યુદ્ધના ધોરણે સમારકામ શરૂ, માર્ગ અને મકાન વિભાગની 16 ટીમ કામે લાગી

ભારે વરસાદને કારણે માર્ગ અને મકાન રાજ્ય વિભાગ હસ્તકના વધુ નુકસાન પામેલ રસ્તાઓની પ્રથમ તબક્કામાં મરામતની 16 ટીમો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી....

New Update
Roads and Building Department
ભરૂચ જિલ્લામાં ગત દિવસો દરમિયાન થયેલ ભારે વરસાદને કારણે માર્ગ અને મકાન રાજ્ય હસ્તકના રસ્તાઓ ઉપર ખાડા પડવાથી તેમાં વરસાદી પાણી ભરાઈ રહેવાના કારણે રસ્તાઓ ખરાબ થયેલા હતા. વરસાદના કારણે ખરાબ થયેલા રસ્તાઓના દુરસ્તી કામમાં રૂકાવટ આવતી હતી પરંતુ વરસાદના વિરામની સાથે જ માર્ગ અને મકાન વિભાગ દ્વારા આવા રસ્તાઓના મરામતની કામગીરી સત્વરે હાથ ધરવામાં આવી છે. 

Roads Repair

માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર રોનક શાહના જણાવ્યા મુજબ ભરૂચ જિલ્લામાં થયેલ ભારે વરસાદને કારણે માર્ગ અને મકાન રાજ્ય વિભાગ હસ્તકના વધુ નુકસાન પામેલ રસ્તાઓની પ્રથમ તબક્કામાં મરામતની કામગીરી હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને અંકલેશ્વરથી રાજપીપલા, રાજપારડી થી નેત્રંગ, ઉમલ્લા અશા- પાણેથા, અંકલેશ્વર વાલીયા નેત્રંગ અને સમની વાગરા,પાલેજ ઈખર સરભાણ,વાગરા ગંધાર દેરોલ વગેરે રોડ ઉપર વેટ મિક્સ અને કોન્ક્રીટ મેટલ પેચવર્ક આરએમસી પ્લાન્ટથી શરૂ કરવામાં આવ્યા છે.

Roads Repairs

રસ્તાઓની દૂરસ્તી કામગીરી માટે માર્ગ અને મકાન વિભાગની ૧૬ ટીમ કાર્યરત કરવામાં આવી છે, જેમાં ૧૮ જેસીબી મશીન, ૧૪ જેટલા રોડ રોલર, ૨ ગ્રેડર ૦૭ ટ્રેક્ટર અને ૩૧ જેટલા ડમ્પર કામે લગાડવામાં આવ્યા છે, આ કામ માટે સુપરવાઇઝર સહિત કુલ ૧૬૩ વ્યક્તિઓની ટીમ રસ્તાઓની દૂરસ્તી માટે કામ કરી રહી છે.