ભરૂચ : ઝઘડીયાના અશા-માલસર વચ્ચે નિર્માણધીન બ્રિજને વાહન વ્યવહાર માટે શરૂ કરવા સ્થાનિકોની માંગ..!
ઝઘડીયાના અશા-માલસર વચ્ચે નિર્માણ પામ્યો બ્રિજ, કામ પૂર્ણ થયું હોવા છતાં બ્રિજ મોળો માટે રહ્યો બંધ.
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના અશા અને વડોદરાના માલસર ગામ વચ્ચે નર્મદા નદી પર નવનિર્મિત પુલ નિર્માણ પામ્યો છે. પરંતુ આ પુલનું કામ પૂર્ણ થયાને 2 મહિના ઉપરાંતનો સમય વિતી ગયા બાદ પણ હજુ સુધી આ બ્રિજ વાહન વ્યવહાર માટે શરૂ કરવામાં નહીં આવતા સ્થાનિકો રોષે ભરાયા હતા. પુલની બન્ને તરફ મોટા મોટા પથ્થરો મુકીને પુલને બંધ કરવામાં આવ્યો છે. જેથી પુલ બની ગયા છતાં પણ લોકોને પસાર થવા દેવામાં આવતા નથી.
પુલના નિર્માણથી અશા-માલસર વચ્ચે ચાલતી નાવડી બંધ કરવામાં આવી છે. જેના કારણે વડોદરા જિલ્લામાં ભણવા જતા વિદ્યાર્થીઓને શાળાએ મુકવા-લેવા જવા માટે લોકોની મુશ્કેલી વધી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ પુલ પરથી ચાલતા જઈને બાળકોને લેવા જવું પડે છે, જેથી વરાછા, અશા, ઇન્દોર, પાણેથા, વેલુગામ જેવા ગામના લોકો આ બ્રિજને જલ્દીથી શરૂ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. અને જો આમ નહીં થાય તો જાતે જ પથ્થરો હટાવીને પુલ ચાલુ કરવામાં આવશે તેવી સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે.