/connect-gujarat/media/post_banners/7993a71f137b9a30514d11a2a4e0a764464ca5277a0f45f8b304aadb190d1449.jpg)
ભરૂચ શહેરમાં વસતા ક્ષત્રિય સમાજ દ્વારા આજરોજ કાજારા ચોથના પર્વની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. હિંગળાજ માતાના પ્રતિકરૂપે કાજરાને નૃત્ય કરાવી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.
આજરોજ શ્રાવણ વદ ચોથ એટલે કાજારા ચોથ, ત્યારે કાજારા ચોથ પર્વની ભરૂચમાં વસતા ક્ષત્રિય સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. આ તહેવાર પાછળ સંકળાયેલ કથા અનુસાર ભગવાન પરશુરામ કોપાયમાન થઇ જ્યારે ક્ષત્રિયોનો નાશ કરવા નીકળ્યા હતા, ત્યારે ક્ષત્રિયો હિંગળાજ માતાના શરણે ગયા હતા. તે સમયે હિંગળાજ માતાએ ક્ષત્રિયોને બચાવી તેઓને ચુંદડી આપી હાથશાળના વ્યવસાયમાં જોડવા આહ્વાહન કર્યું હતું. ત્યારથી જ ભરૂચમાં કાજારા ચોથના પર્વની ઉજવણી કરવામાં આવે છે. માતાજીના પ્રતિકરૂપે ચુંદડીની મદદથી લાકડાના પાટલા પર કાજારો બનાવવામાં આવે છે, અને ઢોલ-નગારાના નાદ સાથે નૃત્ય કરવામાં આવે છે. સમાજના યુવાનો કાજરો માથે મુકી નૃત્ય કરાવે છે. ક્ષત્રિય સમાજના લોકોએ કાજરા ચોથ નિમિત્તે હિંગળાજ માતાના દર્શનનો લ્હાવો લઇ ધન્યતા અનુભવી હતી.