Connect Gujarat
ભરૂચ

ભરૂચ : નેત્રંગમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાનો મામલો, સાંસદ મનસુખ વસાવા આવ્યા બેઘરોની વ્હારે..

નેત્રંગમાં 367 ગેરકાયદેસર દબાણો કરવાનો મામલો સાંસદ મનસુખ વસાવાએ નેત્રંગ ખાતે લીધી મુલાકાત

X

અંકલેશ્વર રેલ્વે વિભાગની તપાસમાં હકીકત બહાર આવી હતી કે, નેત્રંગ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં રેલ્વેની જમીન (જગ્યા) ઉપર મોટા પાયે લોકોએ ગેરકાયદેસર દબાણો ઉભા કરી દીધા હતા. રેલ્વેની જમીન ઉપર મકાનો અને દુકાનો ઉભા કરી દેનાર દબાણકર્તાઓને જાતે જ ખસી જવા નોટિસ આપી તાકીદ પણ કરાઈ હતી. જોકે, તેઓ નહીં હટતા ગત બુધવારના રોજ નેત્રંગ મામલતદાર જી.આર.હરદાસણી, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ નવનીત પટેલ, તાલુકા વિકાસ અધિકારી આર.બી.મલેક, નેત્રંગ પીએસઆઈ, રેલ્વે આર.પી.એફ. સહિત સ્થાનિક પોલીસ કાફલાની હાજરીમાં મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાય હતી.

જોકે, તંત્રની કામગીરી સામે બેઘર બનેલા લોકોએ નેત્રંગ ગ્રામ પંચાયત કચેરી બહાર ભારે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા, ત્યારે આજરોજ સાંસદ મનસુખ વસાવા સહિતના આગેવાનોએ નેત્રંગ ખાતે સ્થળ મુલાકાત કરી હતી. જેમાં બેઘર બેનેલા પરિવારોને પોતાનું સમર્થન આપી આ મામલે તંત્રમાં રજૂઆત કરવા આશ્વાસન આપ્યું હતું. એટલું જ નહીં, સ્થાનિક પ્રશાસનને સૂચના આપવામાં આવી હતી કે, બેઘર બનેલા પરિવારો માટે તમામ વૈકલ્પિક વ્યવસ્થા અને સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર મળવપાત્ર સહાય આપવા જણાવ્યુ હતું. સાંસદ મનસુખ વસાવાની સાથે નેત્રંગ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, મહામંત્રી, વાલિયા તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ જિલ્લા પંચાયતના સભ્ય સહિતના આગેવાનો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા.

Next Story