Connect Gujarat
ભરૂચ

ભરૂચના સાંસદ મનસુખ વસાવાનું પાર્લામેન્ટરી બેઠકમાંથી “વોકઆઉટ”, કહ્યું આ 4 નેતા મારા વિરુદ્ધ પાટીલને ભડકાવે છે..!

ગાંધીનગર ખાતે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં વડોદરા અને નર્મદા જિલ્લાનો વારો આવે તે પહેલા જ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કોઈ કારણસર વોકઆઉટ કર્યું હતું.

X

ભારતીય જનતા પાર્ટીમાં આંતરીક વિખવાદ સામે આવ્યો છે. ગાંધીનગર ખાતે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં વડોદરા અને નર્મદા જિલ્લાનો વારો આવે તે પહેલા જ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કોઈ કારણસર વોકઆઉટ કર્યું હતું. જે બાદ સાંસદ મનસુખ વસાવાએ ચૂપી તોડી ભાજપના કેટલાક હોદ્દેદારો સામે રોષ ઠાલવ્યો હતો. જુઓ શું કહી રહ્યા છે સાંસદ મનસુખ વસાવા...

રાજ્યમાં લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ રાજકીય પાર્ટીઓમાં કંઈકને કંઈક ખળભળાટ સામે આવ્યો છે. કોઈ નેતા પાર્ટી છોડીને અન્ય પાર્ટી સાથે જોડાઈ રહ્યાં છે. તેવામાં ભારતીય જનતા પાર્ટીમાં આંતરીક વિખવાદ સામે આવ્યો છે. ગાંધીનગર ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલની અધ્યક્ષતામાં તમામ જિલ્લાના સંગઠનના આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની બેઠક મળી હતી. જેમાં વડોદરા અને નર્મદાનો વારો આવે તે પહેલા જ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કોઈ કારણસર વોકઆઉટ કર્યું હતું. સાંસદ મનસુખ વસાવા વોકઆઉટ કરી દેતા અનેક તર્ક-વિતર્ક શરૂ થયા અને પ્રદેશ ભાજપમાં રાજકારણ ગરમાયું હતું. સાચાબોલાની છાપ ધરાવતા અને સિનિયર નેતા સાંસદ મનસુખ વસાવા અચાનક પાર્લામેન્ટરી બોર્ડ છોડીને જતા રહ્યા હોવાની ઘટના કદાચ ઇતિહાસમાં પહેલી વાર બની છે. આ ઘટના પાછળ સ્થાનિક આગેવાનો પ્રદેશ કક્ષાએ સાંસદ વિરુદ્ધ વાતો કરી પ્રદેશ કક્ષાના નેતાઓને ગેરમાર્ગે દોરી આ પરિસ્થિતિને જન્મ આપ્યો હોવાનો રોષ સાંસદે મીડિયા સમક્ષ વ્યક્ત કર્યો હતો. સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યુ હતું કે, હું સાચો છું, જો નહીં બોલું તો આ લોકો મારા વિષે પ્રદેશ કક્ષાએ વધુ ઝેર ભરશે. આવનારી લોકસભામાં મને ટિકિટ મળે કે, ન મળે એનાથી મને કોઈ નિસબત નથી. પણ હું પ્રજા માટે પહેલા પણ ઉભો હતો,અને આગળ પણ ઉભો રહીશ.વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે, ભાજપ પ્રદેશ અધ્યક્ષને રૂબરૂ મળી જરૂરી ખુલાસો પણ કરીશ. પણ હાલ મારા વિરોધીઓને પ્રજા સામે ખુલ્લા પાડવાનો સમય છે. આજે નવા નિશાળિયાઓ હોદ્દાઓ પર શું બેસી ગયા છે. પાર્ટીના પાયાના કાર્યકરોને હાંસિયામાં ધકેલવાનો પ્રયાસ કરે છે, પણ હું પાર્ટી વિરોધી કામ નહીં થવા દઉં. આ જે લોકો મારો વિરોધ કરે છે, તેમને કોન્ટ્રાક્ટ કરવો છે, રેતી ખનન કરવી છે, જેનાથી લોકો નારાજ છે. હું હંમેશા આદિવસી સમાજ અને ભાજપ પાર્ટી માટે લડતો આવ્યો છું, અને લડતો રહીશ. પણ મારાથી નારાજ શુભેચ્છકો પ્રદેશ કક્ષાએ ઉંધુ ચિત્ર દર્શાવી મારી છબી ખરાબ કરે છે. આ સાથે આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસના હરેશ વસાવાને ભાજપમાં લેવામાં સાંસદ વિરોધ કરે છેની ખોટી વાત પણ પ્રદેશ અધ્યક્ષને કહીં ગેરમાર્ગે દોરે છે, જ્યારે મેં કોઈને ભાજપમાં જોડાવા માટે ના નથી કહ્યું. ફક્ત એટલું કહ્યું છે કે, સ્થાનિક લોકો સાથે પરામર્શ કરીને આવે એટલી મારી માંગ છે. પણ મને અંધારામાં રાખી મારા વિરુદ્ધ ચઢામણી કરે એ કહેતા નથી.

Next Story