Connect Gujarat
ભરૂચ

ભરૂચ : રૂ. 7 હજારના પગારદાર સિક્યોરિટીએ શેઠની રૂ. 11 કરોડની કંપની ફૂંકી મારી : પોલીસ

સિક્યોરીટી મનોજ બકરે એ શેઠને “જય હિન્દ સર, મે આપકી કંપની સે સિક્યુરીટી બોલ રહા હું, ઓર આપકી કંપની પે આગ લગી હે, આપ જલ્દી સે ફાયરબ્રીગેડ ભેજો”

X

ભરૂચના ઉધોગનગર ભોલાવમાં ગત તા. 22 માર્ચે સવારે નર્મદા પેકેજીંગ અને એજ પરિવારની આશાપુરા ટ્રેડિંગમાં લાગેલી ભયાનક આગમાં 7 હજારનો સિક્યોરિટીવાળો જ શેઠના 11 કરોડ ફૂંકનાર હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ઝાડેશ્વર રોડ શ્રીજી સદન લક્ષ્મીનારાયણ બિલ્ડીંગમાં રહેતા મહેશ શંકરલાલ નારાયણજી ભાનુશાલીની ભરૂચ GIDC ભોલાવ ફૈઝ -2માં નર્મદા પેકેઝીંગ નામની ફેક્ટરી આવેલી છે. જેમાં પ્લાસ્ટીકની યુરીયા ખાતર, ઘઉં ભરવાની બેગ બનાવવાનું તથા ટાર્સોલીન એટલે કે, તાડ પત્રી બનાવવાનું કામ કરવામાં આવે છે.

તેની બરાબર બાજુમાં તેમના પિતાજી શંકરલાલના નામે આશાપુરા ટ્રેડીંગ નામનો યુનિટ છે. જેમાં પ્લાસ્ટીકનું ગોડાઉન, બેગ-સેક્રિગેશન તથા બનાવેલી તાડપત્રી અને રોલ રાખી છેલ્લા 20 વર્ષથી વેપાર કરે છે. બંન્ને ફેક્ટરીમાં પૈકી 11 માણસો કામ કરે છે. જે બધા માણસો ફેક્ટરીના ઉપરના માળે રહેતા હતાં. બંન્ને ફેક્ટરી ઉપર રાત્રીના સિક્યુરીટીનો માણસ આવે છે. સિક્યુરીટીના માણસો થોડા-થોડા સમયે બદલાતા રહે છે. શેઠને 20થી 30 માર્ચ પરીવાર સહિત હરીદ્વાર ખાતે માતાના મુત્યુ બાદ ભાગવત સપ્તાહ રાખેલી ત્યાં જ રોકાવાનું હતું. આ દરમ્યાન સિક્યુરીટીના કોન્ટ્રાક્ટર રામઆતરે ગંગાપ્રસાદ પાંડેને ફોન કરી ફેક્ટરી ઉપર આ 10 દિવસ સવારે પણ સિક્યુરીટીનો માણસ મુકવાનું કહ્યું હતું.

નર્મદા પેકેજિંગના માલિક તેમના પિતા અને પરિવાર સાથે તા. 20 માર્ચે મળસ્કે હરિદ્વાર ટ્રેનમાં નીકળી ગયા હતા. નર્મદા પેકેજીંગ અને આશાપુરા ટ્રેડિંગ બન્ને ફેકટરીઓ તા. 22 માર્ચે સવારે ભડકે બળવા લાગી હતી. સવારના આશરે પોણા આઠેક વાગ્યાના સુમારે દિવસના સિક્યુરીટી મનોજ બકરેનો શેઠ ઉપર ફોન ગયો હતો. જેમાં સિક્યોરીટી મનોજ બકરે એ શેઠને “જય હિન્દ સર, મે આપકી કંપની સે સિક્યુરીટી બોલ રહા હું, ઓર આપકી કંપની પે આગ લગી હે, આપ જલ્દી સે ફાયરબ્રીગેડ ભેજો” તેમ જણાવ્યુ હતું. તે જ દિવસે મહેશભાઈ બાય પ્લેન હરીદ્વારથી સુરત અને ત્યાંથી રાત્રે જ ભરૂચ આવી ગયા હતા.

ફેક્ટરી પર આવી જોતા બંન્ને ફેક્ટરીઓ બળીને રાખ થઇ ગઈ હતી. ઘટનાના 12 કલાક પછી પણ બંન્ને ફેક્ટરીઓમાં રહેલ પ્લાસ્ટીકના સામાનમાં નાની-મોટી આગ સળગતી હતી. જોકે, 2 દિવસ બાદ સંપુર્ણ રીતે આગ ઓલવાયા પછી ભરૂચ સી’ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આ બાબતે જાણ કરાઈ હતી. સમગ્ર મામલે PI હસમુખ ગોહિલ અને સ્ટાફે તપાસ શરૂ કરી હતી. ફેક્ટરીની સામે અવી ટ્રાવેલ્સનું પાર્કિંગ તથા સર્વિસ સ્ટેશનના CCTV કેમેરા પોલીસે તપસ્યા હતા. ઘટનાના દિવસે સવારે 7.18 કલાકે નવો સિક્યુરીટી ગાર્ડ મનોજ નટવરલાલ બકરે રહે. હરીનગર સોસાયટી નંદેલાવ ભરૂચ CCTVમાં કેદ થયો હતો. પોતાની પાસેની માચીસ બોક્ષથી આશાપુરા ટ્રેડીંગના આગળના ભાગે રાખવામાં આવેલ પ્લાસ્ટીકની બેગમાં આગ લગાડતો સ્પષ્ટ જોવામાં આવ્યો હતો.

ઘટનામાં બન્ને ફેક્ટરીના બિલ્ડીંગ અને માલ સંપુણ રીતે બળી જતા આશરે 11 કરોડ રૂપિયાનું નુકશાન થયું છે. ઉપરાંત ફેક્ટરીની સામે પાર્ક કરેલી કાર પણ સંપુર્ણપણે સળગી ગઈ હતી. બાજુમાં આવેલ અંબિકા એન્ટરપ્રાઇઝની લોખંડના પતરાની ફેન્સીંગ સહિત બિલડીંગને સામાન્ય નુકશાન થયું હતું. ભીષણ આગમાં ફેક્ટરીમાં રહેતા લોકો સમયસર બહાર નિકળી ગયા ન હોત તો તેઓ પણ ફેક્ટરીની અંદર સળગીને મરી જતા તેવું જાણવા છતા સિક્યોરીટી ગાર્ડે આગ લગાડી હતી, ત્યારે હાલ તો સી’ ડિવિઝન પોલીસે સિક્યોરીટી ગાર્ડની ધરપકડ કરી ક્યાં કારણોસર અને કેમ આગ લગાડી છે, તેમજ અન્ય કોઈ આ ઘટનામાં સંડોવાયેલું છે કે, નહીં તે મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Next Story