ભરૂચ જિલ્લામાં જ્યારથી દહેગામ નજીક નવો હાઈવે શરૂ થયો છે, ત્યારથી જ શહેરમાં ટ્રાફિકની સમસ્યા વિકટ બની છે. એક તરફ શ્રવણ ચોકડી પાસે ચાલતી બ્રિજની કામગીરીના કારણે નાના વાહનચાલકો સીટી તરફ વળ્યા છે, જ્યાંથી તેઓ અન્ય હાઈવે પકડી રહ્યા છે. જેથી શહેરમાં ટ્રાફીક ભારણ વધ્યું છે, ત્યારે શહેરમાં વાહનચાલકો દ્વારા આડેધડ વાહન પાર્કિંગ કરાતા ટ્રાફિક પણ વધતો હતો. જેની ગંભીરતાને ધ્યાને લઈ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા શહેર એ, બી અને સી’ ડિવિઝનના પોલીસ અધિકારીઓને શહેરમાં જાહેર માર્ગો પર આડેધડ પાર્કિંગ કરેલા વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી સહિત વાહન ડિટેઈનની કામગીરી કરવા આદેશ આપ્યા હતા, ત્યારે પોલીસ વિભાગ દ્વારા પાલિકા તંત્રની મદદ મેળવી ગત તા. 13 મે સોમવારના રોજથી શહેરભરમાં ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી.
ટ્રાફિક ડ્રાઈવના ભાગરૂપે ભરૂચ શહેર સી’ ડિવિઝન પોલીસ મથકના પીઆઈના માર્ગદર્શન હેઠળ ઝાડેશ્વર ચોકડીથી મકતમપુર વિસ્તાર સુધીના દબાણોને દૂર કરવામાં આવ્યા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તમામ લારી-ગલ્લા સહિતના દબાણો દૂર કરાયા હતા, ત્યારે પોલીસની કામગીરીના પગલે અન્ય દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો. જોકે, આ દબાણ હટાવો ઝુંબેશ આગામી દિવસોમાં પણ યથાવત રહેવાની છે, ત્યારે લોકોને પણ નિયમોનું પાલન કરવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે.