ભરૂચ : પડતર માંગણીઓને લઈ શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા પાંચમા તબક્કાનું મૌન ધરણાં પ્રદર્શન યોજાયું
ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા આચાર્ય અને શિક્ષકોની ભરતી સહિતના જુદા-જુદા પ્રશ્નો મુદ્દે છેલ્લા કેટલાક સમયથી વિરોધ અને રજૂઆત કરી રહ્યા છે.
ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે ભરૂચ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના જિલ્લા-શહેરના આગેવાનો અને શિક્ષકો પોતાની પડતર માંગણીઓને લઈને પાંચમા તબક્કાના મૌન ધરણાં યોજી વિરોધ દર્શાવ્યો હતો.
ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા આચાર્ય અને શિક્ષકોની ભરતી સહિતના જુદા-જુદા પ્રશ્નો મુદ્દે છેલ્લા કેટલાક સમયથી વિરોધ અને રજૂઆત કરી રહ્યા છે. તેમ છતાં સરકાર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી નહીં થતાં ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના આદેશ મુજબ પાંચમા તબક્કાના મૌન ધરણાં પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે ભરૂચ શહેર અને તાલુકાના આચાર્યો, શિક્ષકો અને શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ પર આવેલી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે મૌન ધરણાં પર બેઠા હતા. આ કાર્યક્રમમાં હાજર રહેલા ગુજરાત રાજ્ય શિક્ષક સંઘ પ્રમુખ કિરીટસિંહ મહિડા, ભરૂચ જિલ્લા સંચાલક મંડળના પ્રમુખ પ્રવિણસિંહ રણા, આચાર્ય સંઘ પ્રમુખ અમિતસિંહ વાસદિયા અને રવિન્દ્રભાઈ સહિતના આગેવાનોએ જણાવ્યું હતું કે, શિક્ષકો શિક્ષણ બચાવો-ગુજરાત બચાવો, ગ્રાન્ટેડ શાળા બચાવો, શિક્ષકોની કાયમી ભરતી કરો, બિનશૈક્ષણિક કર્મચારી ક્લાર્ક અને પટ્ટાવાળાની ભરતી કરો, કાયમી ભરતી કરી શિક્ષણ સુધારો, શિક્ષણ માટે શિક્ષકને સ્વતંત્ર કરો, શિક્ષકને અન્ય કામગીરીમાંથી મુક્તિ આપો જેવા સૂત્રો સાથે શાંતિપૂર્વક મૌન ધરણા પ્રદર્શન કર્યું હતું.