ભરૂચ: નર્મદા નદીમાં આવેલ પુર કુદરતી નહીં પણ માનવસર્જીત હતું,આપના ગંભીર આક્ષેપ
સપ્ટેમ્બર 2024માં નર્મદા નદીમાં આવેલ ભયાનક પુર કુદરતી નહીં પરંતુ માનવ સર્જિત હોવાનો આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
સપ્ટેમ્બર 2024માં નર્મદા નદીમાં આવેલ ભયાનક પુર કુદરતી નહીં પરંતુ માનવ સર્જિત હોવાનો આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીએ નર્મદા કંટ્રોલ ઓથોરિટીના અહેવાલને ટાંકીને આ ગંભીર આક્ષેપ કર્યા છે.
ભરૂચ નજીક નર્મદા નદીમાં ગત સપ્ટેમ્બર માસમાં ભારે પુરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જેના કારણે ખેડૂતો તેમજ સ્થાનિકોને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું પૂરના કારણે અંકલેશ્વર તેમજ ભરૂચના નીચાણવાળા વિસ્તારોની સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી અને લોકોએ ત્રણ ત્રણ દિવસ સુધી પૂરના પાણી વચ્ચે જીવન વિતાવવાનો વારો આવ્યો હતો ત્યારે આ મામલે હવે નવો વળાંક આવ્યો છે. નર્મદા કંટ્રોલ ઓથોરિટીના એક રિપોર્ટ મુજબ આ પૂર માનવસર્જિત હોવાનો આક્ષેપ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલીયા અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આજરોજ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં આક્ષેપ કર્યા હતા કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની ભેટ આપવા માટે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ પાણી વધી જતા એક જ સાથે 18 લાખ ક્યુસેક પાણી છોડી દેવામાં આવતા ભરૂચ અને અંકલેશ્વરમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું પુરના પાણીના કારણે ભરૂચ જિલ્લામાં જ 6 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું.આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સરદાર સરોવરને ઓવરફ્લો કરવા માટે ભરવામાં આવ્યો હતો. નર્મદા ડેમ 17 સપ્ટેમ્બર, 2023ના રોજ ઓવરફ્લો થયો ન હતો, પરંતુ તેને ઓવરફ્લો કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખુશ કરવા માટે ડેમને કૃત્રિમ રીતે ઓવરફ્લો કરવા માટે ભરવામાં આવ્યો હતો.આમ આદમી પાર્ટી દ્વારા આ માટેના જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.