ભરૂચ : રાજપારડી માધુમતિના પુલ પર વાહન ખોટકાતા ચકકાજામ
ભરૂચ જિલ્લાના રાજપારડી નજીકથી પસાર થતી માધુમતી નદીના બ્રિજ પર વાહન ખોટકાઇ જતાં ટ્રાફિકજામ થઇ ગયો હતો.
ભરૂચ જિલ્લાના રાજપારડી નજીકથી પસાર થતી માધુમતી નદીના બ્રિજ પર વાહન ખોટકાઇ જતાં ટ્રાફિકજામ થઇ ગયો હતો. આ માર્ગ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો મહત્વનો માર્ગ હોવાથી વાહનોની સંખ્યામાં વધારો થયો હોવાથી અનેક વાહનચાલકો ટ્રાફિકજામમાં ફસાયાં હતાં.
ઝઘડીયા તાલુકાના રાજપારડી ચાર રસ્તા પરથી પસાર થતા ધોરીમાર્ગ પર રાજપારડી નજીક માધુમતિ નદી પરનો પુલ લાંબા સમયથી બિસ્માર બની ગયો છે. પુલ પર મોટામોટા ખાડાઓ પડતા વાહન ચાલકોને મોટી યાતનાનો સામનો કરવો પડે છે. પુલ પરના બિસ્માર માર્ગને લઇને વારંવાર ટ્રાફિક જામની સમસ્યા જોવા મળે છે. આજરોજ આ પુલ પર એક બાજુએ બંધ પડેલ ટ્રક ઉભી રહી જતા બન્ને તરફના વાહનોએ પુલ પર એકજ બાજુની લાઇન પરથી પસાર થવાની નોબત આવી હતી. તેને લઇને ટ્રાફિક સમસ્યા ઉદભવી હતી. જોકે પોલીસને ઘટનાની જાણ થતા તાત્કાલિક ટ્રાફિક સંચાલન કરીને સમસ્યા હલ કરાતા અટવાયેલા વાહનો દોડતા થયા હતા. જુના પુલ નજીક ચાર માર્ગીય કામગીરી અંતર્ગત નવો પુલ બનાવાઇ રહ્યો છે. નવો પુલ કાર્યરત થશે ત્યારેજ ટ્રાફિક સમસ્યા હલ થશે એવી પરિસ્થિતિ અત્યારે જણાય છે. જોકે માર્ગ મકાન વિભાગ દ્વારા પુલ પર પડેલ ગાબડાઓ પુરીને વ્યવસ્થિત ડામર કાર્પેટ કરાય તેવી વાહનચાલકો માંગ કરી રહયાં છે.