ભરૂચ : ચિંગસપુરા વાલ્મીકિ વાસમાં ભર ઉનાળે પાણીનો કકળાટ, પાલિકા પ્રત્યે સ્થાનિકોમાં રોષ...
હાલ ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ છે, ત્યાં તો ભરૂચના કેટલાક વિસ્તારોમાં પાણીનો કાળો કહેર વર્તી રહ્યો છે.
ભરૂચ જિલ્લાભરમાં કાળઝાળ ગરમી પડતા લોકો ત્રસ્ત બન્યા છે, ત્યારે ભરૂચ શહેરના વોર્ડ નંબર 7માં આવેલ ચિંગસપુરા વિસ્તારની વાલ્મીકિ વાસમાં સ્થાનિકોને ભર ઉનાળે પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે. હાલ ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ છે, ત્યાં તો ભરૂચના કેટલાક વિસ્તારોમાં પાણીનો કાળો કહેર વર્તી રહ્યો છે.
પાણી એ જીવનની મૂળભૂત જરૂરિયાત હોય અને પાણી જ ન મળે તો માનવી શું પશુઓ પણ ત્રાહિમામ થઈ જાય છે, ત્યારે ભરૂચ શહેરના વોર્ડ નંબર 7માં નગરપાલિકાના પૂર્વ પ્રમુખના વિસ્તારમાં જ આવેલા ચિંગસપુરા વાલ્મીકિ વાસના સ્થાનિકોને પાણીની બૂંદ બૂંદ માટે વલખા મારવા પડે છે.
સ્થાનિકોએ નગરપાલિકાના સ્થાનિક નગરસેવકો પર આક્ષેપ કરતાં જણાવ્યુ હતું કે, દર વર્ષે પાણીની સમસ્યા બાબતે પાલિકામાં રજૂઆત કરવા છતાં પણ આજદિન સુધી પાણીની સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું. એટલું જ નહીં પાલિકા પ્રમુખ સહિત નગરસેવકોને રજૂઆત કરાતાં સ્થાનિકોને માત્ર આશ્વાસન જ મળ્યું હતું. પરંતુ અહીના વિસ્તારમાં પાણીની સમસ્યા હલ થતી નથી, ત્યારે ચિંગસપુરા વાલ્મીકિ વાસના સ્થાનિકોએ ચૂંટાયેલા સભ્યો અને નગરપાલિકા સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો.