"હવે ભણીશું નહીં, મજૂરી કરીશું" : પૂરના કારણે અંકલેશ્વરના જુના બોરભાઠા બેટની વિદ્યાર્થીની લક્ષ્મીની આપવીતી...
નર્મદા નદીમાં આવેલ ભારે પૂરથી અનેક લોકો અસરગ્રસ્ત
જુના બોરભાઠા બેટ ગામમાં ફરી વળ્યા હતા પૂરના પાણી
વિદ્યાર્થીની પાઠ્યપુસ્તકો પૂરના પાણી વચ્ચે પલળીને નકમા
ભણતર છોડવું પડે તેવી વિદ્યાર્થીની આપવીતી સંભળાવી
ભરૂચ જિલ્લામાં 5 દાયકા બાદ આવેલ સૌથી મોટી રેલે ભરૂચ સહિત અંકલેશ્વરને હચમચાવી નાખ્યું છે. ભરૂચ જીલ્લાના 3 તાલુકાના 35થી વધુ ગામો અને ભરૂચ-અંકલેશ્વરની 200 કરતા વધુ સોસાયટીઓમાં રહેતા હજારો પરીવાર પર તેની અસર થઈ છે, ત્યારે હવે પૂરના પાણીએ વેરેલા વિનાશની તસ્વીરો રુવાંટા ઉભા કરી દે તેવી છે. પુરના પાણીએ અનેક પરીવારને બેઘર કરવા સાથે જાનમાલને પણ એટલું જ નુકશાન કર્યું છે. પૂરના પાણી આજે 6 દિવસે અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ ગામમાંથી ઓસર્યા બાદ મકાનો, શાળા અને દુકાનોમાં કાદવ કિચડનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. આ ગામની 16 વર્ષીય અને 10માં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની લક્ષ્મીએ જણાવ્યુ હતું કે, પૂરના પાણીમાં ઘરવખરી સાથે પાઠ્યપુસ્તકો પણ પલળાયા હોવથી નકામા થયા છે, ત્યારે આગળ હવે અભ્યાસ કેવી રીતે કરશે તે સવાલના પ્રતિઉત્તરમાં લક્ષ્મીએ જણાવ્યુ હતું કે, હવે ભણાવાનું બંધ મજૂરી કરીશું... આ વાત સાંભળી ખરેખર થાય છે કે, ગરીબી મનુષ્યને ઉમર કરતા પહેલા સમજદાર બનાવી દે છે. જોકે, 16 વર્ષીય વિદ્યાર્થીની લક્ષ્મી હવે સામાજિક સંસ્થાઓ કે, સરકાર તેને છત અને શિક્ષણ આપવામાં સહાયતા કરશે તેવી આશાએ રાહ જોઇને બેઠી છે.