/connect-gujarat/media/post_banners/dc82c259e3663b39a080f0acb3a6ecfddf46536f43385cbf67886e4105307f08.jpg)
ભરૂચ એકેડેમિક એસોસિએશન અને ITM-વડોદરાના સંયુકત ઉપક્રમે SSC બોર્ડના વિદ્યાર્થીઓ માટે લેવામાં આવેલ મોડેલ એકઝામ-2024નું પરિણામ ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે જાહેર કરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તાર સ્થિત પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ એકેડેમિક એસોસિએશન અને ITM-વડોદરાના સંયુકત ઉપક્રમે યોજાયેલ SSC બોર્ડના મોડેલ એકઝામ-2024નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ એકેડેમી એસોસિયેશનના ઉપપ્રમુખ મિનેશ રાણા, સભ્યો, ITM-વડોદરાના ચીફ ઓફ માર્કેટિંગ ડો. તાપશ દુબે, ડીન ડોક્ટર હિમાની પાંડે, ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ સાયન્સ અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ પરિણામ મેળવવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ એકેડેમિક એસોસિએશન અને ITM દ્વારા લેવામાં આવેલ ધોરણ 10 મોડલ ટેસ્ટમાં વધુ માર્કસ મેળવનાર તેજસ્વી 10 વિદ્યાર્થીઓને તથા વિષયવાર પરિક્ષામાં વધુ માર્કસ મેળવનાર તેજસ્વી 10 વિદ્યાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રોગ્રામનું સમગ્ર સંચાલન કરતાં પ્રણવ વાડિયા અને પરિશ્રમ ક્લાસના શૈલેષ ગોસ્વામીએ વિદ્યાર્થીઓને ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ સમય, સ્વાસ્થ્ય અને સમજણની સાથે ભય વિના બોર્ડના પેપર માટે તૈયારી કરે, તથા વાલીઓ પણ બાળકો પર પરિક્ષા માટે કોઈપણ દબાણ ન આપે. શ્રવણ સ્કૂલના સંચાલક વૈભવ બિનીવાલેએ એસોસિએશનની ઉત્કૃષ્ઠ કામગીરીને બિરદાવી હતી, અને વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક પ્રકાશ પટેલ, હેમા પટેલ, પ્રમુખ ઉપપ્રમુખ, સદસ્યો તથા ભરૂચ એકેડેમી એસોસિએશનના સભ્યોએ ઉપસ્થિત રહી સહયોગી સેવા આપી હતી.