-
ભરૂચના જંબુસરમાં ચૂંટણીનો માહોલ
-
કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધવાયો
-
ભાજપના ઉમેદવારનું નામ 2 મતદાર યાદીમાં
-
કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો, કોર્ટમાં જવાની ચીમકી
ભરૂચના જંબુસર તાલુકાની કહાનવા જિલ્લા પંચાયત બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને લઈને મતદાર યાદી સંબંધિત વિવાદ દિવસેને દિવસે ગરમાયો હતો. ઉમેદવારનું નામ બે અલગ વિસ્તારોની મતદાર યાદીમાં હોવાના આક્ષેપો સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા સત્તાવાર વાંધો નોંધાવવામાં આવ્યો હતો. ભાજપના ઉમેદવાર દિનેશ અંબાલાલ રોહિતનું નામ અંકલેશ્વર નગરપાલિકાના રોહિતવાસ-1 વિસ્તારમાં તેમજ જંબુસર તાલુકાના કહાનવા જિલ્લા પંચાયતના કારેલી ગામની મતદાર યાદીમાં હોવાના મુદ્દે કોંગ્રેસન ઉમેદવાર નરેશ પરસોતમ સોલંકી દ્વારા ચૂંટણી અધિકારી સમક્ષ વાંધા અરજી સાથે રજૂઆત કરવામાં આવી હતી.
આ મુદ્દે નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને ચૂંટણી અધિકારી નિકુંજ પટેલને લેખિતમાં વાંધા અરજી આપવામાં આવી હતી. જોકે, તપાસ બાદ ચૂંટણી અધિકારીએ આ વાંધા અરજીને ગ્રાહ્ય રાખવા ઇન્કાર કર્યો હતો, જેના કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે.અરજદારે હવે કોર્ટનો દરવાજો ખખડાવવાની તૈયારી દર્શાવી હોવાનું જાણવા મળી રહ્યું છે, જેથી આવનારા સમયમાં આ મુદ્દો વધુ ઉગ્ર બનવાની શક્યતા છે.
