સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરમ વાયરસના શંકાસ્પદ કેસ બહાર આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે આરોગ્ય વિભાગની 50 ટીમો દ્વારા સર્વે હાથ ધરાયો છે.

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ચાંદીપુરમ વાઇરસના શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. આ અંગે વધુ એક બાળકને લક્ષણો જણાતા હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે. મેઘરજના ઢેંકવા ગામના બાળકને હાલમાં સિવિલમાં વેન્ટિલેટર પર રાખવાની જરુર વર્તાઈ છે. બીજી તરફ શંકાસ્પદ વાઇરસને પગલે જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
હિંમતનગર અને ખેડબ્રહ્મામાં 25-25 જેટલી આરોગ્ય વિભાગની ટીમો દ્વારા કાર્યવાહી શરુ કરવામાં આવી છે. આ દરમિયાન જે વિસ્તારમાંથી શંકાસ્પદ કેસ સામે આવ્યા છે,એ વિસ્તારમાં તમામ બાળકોને તપાસમાં આવી રહ્યા છે. જેમાં લક્ષણો જણાય તો તેઓને તુરત સારવાર માટે ખસેડવામાં આવશે. ઉપરાંત રોગ વધુ ના ફેલાય એ માટે માખી અને મચ્છરના નિયંત્રણ માટે પાઉડર ડસ્ટીંગ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું તાલુકા આરોગ્ય અધિકારી ડો.રાજેશ પટેલે જણાવ્યું હતુ.