મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની ગુરુવારે સવારે ઈમરજન્સી સર્જરી કરવામાં આવી હતી. થોડા દિવસ પહેલા સીએમ ઠાકરેની કરોડરજ્જુની સર્જરી કરવામાં આવી હતી. તે સ્વસ્થ પણ થઈ ગયા હતા. જોકે અચાનક તેમની કરોડરજ્જુમાં લોહી ગંઠાઈ જવાની વાત સામે આવતાં જ ડોક્ટરોએ તેમની ઈમરજન્સી સર્જરી કરવી પડી. સમાચાર મુજબ ગરદન અને કરોડરજ્જુમાં દુખાવાના કારણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ ઘણા કાર્યક્રમો રદ્દ કર્યા હતા. પરેશાનીના કારણે તે લોકો સાથેની મુલાકાત પણ ઓછી કરી રહ્યા હતા. દિવાળીના દિવસે તેઓ ભાગ્યે જ તેમના વર્ષા બંગલામાં મુલાકાતીઓને મળતા હતા. જ્યારે સીએમ ઠાકરેને દુખાવો વધી ગયો, ત્યારબાદ તેમણે સર્જરી કરાવવાનો નિર્ણય લીધો હતો. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર સીએમ ઠાકરેના કરોડરજ્જુમાં લોહીના ગઠ્ઠાને કારણે ડોકટરોએ ફરી એકવાર સર્જરી કરવી પડી હતી, જેથી લોહીના ગઠ્ઠાને દૂર કરી શકાય. સીએમ ઉદ્ધવ ઠાકરેની બીજી સર્જરી ગુરુવારે સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના 18માં માળે આવેલા સ્પેશિયલ ઑપરેટિંગ થિયેટરમાં કરવામાં આવી હતી.