દાહોદ જિલ્લામાં કોરોનાના સંક્રમણની સંખ્યા રોકેટ ગતીએ વધી રહી છે ત્યારે વધતાં સંક્રમણને અટકાવવા બલૈયા ગ્રામ પંચાયત દ્વારા આજથી 6 દિવસ માટે લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે.
દાહોદ જિલ્લામાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો કહેર વર્તાઇ રહ્યો છે. વધતાં સંક્રમણના પગલે ફતેપુરાના 1600 લોકોની વસ્તી ધરાવતા બલૈયા ગામને લોકડાઉનના હવાલે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
બલૈયા ગામમાં ૬ દિવસનું લોકડાઉન નક્કી કરાયું છે જેમાં સવારના 7 થી 10 વાગ્યાં સુધીજ બજારો ખુલ્લા રાખી શકાશે. દાહોદ જિલ્લામાં છેલ્લા આઠ દિવસમાં 162 કેસો નોંધાયા છે અને છેલ્લા 15 દિવસમાં ફતેપુરાના બલૈયા ગામમાં 25 લોકો કોરોનાથી સંક્રમિત બન્યા છે અને એક પુરૂષનુ કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજતા આખરે ગામના લોકો અને ગ્રામ પંચાયત દ્રારા નિર્ણય લેવામાં આવ્યો હતો. તારીખ 03 એપ્રિલ થી 08 એપ્રિલ સુધી 6 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજથી આખુ બલૈયા ગામ બંધ રાખવામાં આવ્યું અને જો કોઈ વેપારી લોકડાઉનનો ભંગ કરે તો તેમને 1000ના દંડથી દંડીત કરવાનો નિર્ણય પણ ગ્રામ પંચાયત દ્વારા લેવામાં આવ્યો છે.