શ્રાવણી અમાસ સાથે શ્રાવણ મહિનાનો અંતિમ દિવસ
પ્રભાસ તીર્થ ત્રિવેણી સંગમમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર
પ્રભાસ તીર્થના ત્રિવેણી સંગમ ઘાટ પર સ્નાન કરવાનો વિશેષ મહિમા
ભક્તોએ સંગમ સ્નાન અને પીપળે પાણી અર્પણ કરી પિતૃ તર્પણ કર્યું
ભક્તોએ શાસ્ત્રોક્ત વિધિથી પિતૃઓના મેળવ્યા આશીર્વાદ મેળવ્યા
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે શ્રાવણી અમાસે પ્રભાસ તીર્થના ત્રિવેણી સંગમ ઘાટ પર સ્નાન કરવાનો વિશેષ મહિમા છે.આજે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ત્રિવેણી સંગમ ઘાટ પર ઉમટી પડ્યા હતા.ભક્તોએ સંગમ સ્નાન અને પીપળે પાણી અર્પણ કરી પિતૃ તર્પણ સાથે પુણ્યનું ભાથું બાંધ્યું હતું.
પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ તીર્થમાં આજે શ્રાવણી અમાસ નિમિત્તે ત્રિવેણી સંગમ ખાતે પિતૃ તર્પણ માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા.ભગવાન શિવની ઉપાસના સાથે સોમનાથ તીર્થમાં આજે શ્રાવણનો અંતિમ દિવસ એટલે શ્રાવણી અમાસ દિવસે સોમનાથ મહાદેવના દર્શને પણ ભારે માત્રામાં ભાવિકો ઉમટયા છે. તો બીજી તરફ નજીકમાં આવેલ હિરણ કપિલા અને સરસ્વતી ત્રણેય પવિત્ર નદીઓના સંગમ તટે ભારે માત્રામાં ભાવિકો આજે પીપળાને પાણી અર્પણ અને પિતૃ તર્પણ કરવા ઉમટી પડ્યા છે.
શાસ્ત્રો અનુસાર ભગવાન કૃષ્ણ અંતિમ નિજધામ ગમન કરવા માટે પ્રભાસ તીર્થમાં આવ્યા હતા,અને અહીં 56 કોટી યાદવોને મુક્તિ અપાવી હતી. ત્યારે આજે દરેક ભાવિકોએ ત્રિવેણી સંગમમાં સ્નાન કરી અને પોતાના પિતૃઓનું તર્પણ કરી પીપળા પર પાણી અર્પણ કરી અને પિતૃઓના આશીર્વાદ મેળવ્યા હતા.