માઁ દશામાના વ્રતનો માઈભક્તોમાં અનેરો મહિમા
અયોધ્યા મંદિર સાથેની પ્રતિમાનું ભારે આકર્ષણ
શણગાર સાથેની મનમોહક મૂર્તિઓ વેંચાણ શરૂ
મૂર્તિના ભાવમાં 5થી 7 ટકાનો થયો ભાવ વધારો
મોંઘવારી છતાં વ્રતને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ
આગામી દીવાસાના દિવસથી માઁ દશામાના વ્રતનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે ભરૂચ શહેર તથા જીલ્લાભરના માઈભક્તોમાં મોંઘવારી હોવા છતાં દશામા વ્રતને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
દશામાના વ્રત શરૂ થવાને આડે હવે ચારેક દિવસ બાકી છે, ત્યારે ભરૂચ શહેરમાં દશામાની મૂર્તિઓનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે. જેમાં આ વર્ષે અયોધ્યાના શ્રીરામ મંદિરની સાથેની મૂર્તિનું આકર્ષણ જોવા મળી રહ્યું છે. હાલના માહોલમાં મધ્યમ વર્ગના લોકોની અવદશા બેઠી છે, ત્યારે આર્થિક તેમજ સામાજીક રીતે દશા સુધરે તે માટે લોકો 10 દિવસ ભક્તિભાવ પૂર્વક દશામાનું વ્રત કરતા હોય છે.
દશામા વ્રતનો પ્રારંભ રવિવારથી થવા જઈ રહ્યો છે, ત્યારે આ વ્રત દરમિયાન કઠિન નિયમોનું પાલન કરવાનું હોય છે. 10 દિવસ સવાર-સાંજ નિયમિત રીતે દશામાની આરતી તેમજ કથાનું વાંચન કરવાનુ હોય છે. વ્રતના દિવસો દરમિયાન ઘરમાં ગૃહક્લેશ થવો ન જોઈએ તેમજ શાંતિનું વાતાવરણ રહેવુ જોઈએ. આવા વાતાવરણમાં થતા દશામાં માતાના વ્રતનું ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે તેવી માન્યતા પ્રચલિત છે.
ભરૂચ જિલ્લામાં દશામાના ભક્તોમાં દર વર્ષે વધારો જોવા મળતા દશામા માતાની પ્રતિમાની માંગમાં પણ વધારો થતો હોય છે. ભરૂચના ધોળીકુઇ બજાર, શક્તિનાથ, ઝાડેશ્વર રોડ વિગેરે વિસ્તારોમાં દશામા મૂર્તિઓના હંગામી સ્ટોલ પણ જોવા મળી રહ્યા છે, જ્યાં 1 ફૂટથી લઇ 5, 6 ફૂટની અને રૂ. 150થી લઇ 5 હજાર સુધીની વિવિધ કદ અને શણગારની મનમોહક મૂર્તિઓ મળી રહે છે.
વેપારીઓના જણાવ્યા અનુસાર, પ્રતિમાની કિંમતમાં પણ 5થી 7 ટકાનો ભાવ વધારો થયો છે. જોકે, આ વર્ષે અયોધ્યા શ્રીરામ મંદિર સાથેની પ્રતિમાએ માઈભક્તોમાં ભારે આકર્ષણ જગાવ્યું છે. દશામાની મૂર્તિઓ અને શણગારને શ્રદ્ધાભેર ઘરે પધરામણી માટે ભક્તો લઈ જતા હોય છે, ત્યારે છેલ્લા 2-3 દિવસ ભરૂચ શહેર તથા જીલ્લાના બજારોમાં માઈભક્તોની ભારે અવર જવર જોવા મળશે.