/connect-gujarat/media/post_banners/b3b76b1ce813ed27064f4cbaadd910885c23519cef218d61c6cfe62993211395.jpg)
ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતે પંચમહાલના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તોનું માનવ મેહરામણ ઉમટી પડ્યું હતું, જ્યાં માઈભક્તોએ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી.
પંચમહાલ જિલ્લા સ્થિત સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢ ખાતે આજથી શરૂ થયેલી ચૈત્રી નવરાત્રિના પહેલા નોરતે ગુજરાત સહિત આંતર રાજ્યોમાંથી દર્શન કરવા માઈભક્તો ઉમટ્યા હતા. તો સંઘ અને ધ્વજા લઈ આવેલા માઈભક્તો આગલી રાત્રે જ ડુંગર ઉપર પહોંચ્યા હતા, જેમણે વહેલી સવારે દૂધિયા તળાવમાં સ્નાન કરી મંદિરના નિઝ દ્વાર ખુલતા જ માતાજીના દર્શન કરી પોતાની મનોકામના પૂર્ણ કરી હતી. મંદિરે દર્શન શરૂ થતાં હોવાથી રોપ-વે સુવિધા પણ વહેલી શરૂ કરી દેવાતાં અનેક ભક્તો વહેલી સવારે જ મંદિરે પહોંચ્યા હતા. વહેલી સવારથી તળેટીમાંથી માચી જવાના માર્ગ ઉપર હજારોની સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી હતી. યાત્રાળુઓની સુરક્ષા અને સલામતી માટે 700થી વધુ પોલીસ કર્મીઓ ખડેપગે તૈનાત રહ્યા છે. ચૈત્રી નવરાત્રીમાં માતાજીના ભક્તોમાં પૂજા-અર્ચના કરવાનો વિશેષ મહિમા રહ્યો છે, ત્યારે આજના પવિત્ર દિવસે ભક્તોએ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી.