ગુજરાતનું સ્તંભેશ્વર મહાદેવ મંદિર એક અનોખું મંદિર, જે દિવસમાં બે વાર આંખો સામેથી ગાયબ થઈ જાય છે. સ્તંભેશ્વર મહાદેવ મંદિર ગુજરાતના ભરૂચ જિલ્લામાં જંબુસર તાલુકાના કાવી-કંબોઈ ગામે આવેલું છે. વડોદરા શહેરથી આશરે40કિમી દૂર આ મંદિર અરબ સાગરના તટ પર આવેલું છે. આ મંદિરની ખાસિયત એ છે કે અહીં દરરોજ બે વખત શિવલિંગ દેખાતું બંધ થઈ જાય છે. આ અદભુત દ્રશ્ય જોવાનો લ્હાવો લેવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટે છે.અને આ મંદિર દક્ષિણ ગુજરાતનું સોમનાથ તરીકે પણ પ્રસિદ્ધ થયું છે અને વિશ્વભરમાં પ્રખ્યાત છે.ગુજરાત રાજ્ય અને અન્ય રાજ્યોના શિવ ભક્તો પણ દૂર દૂરથી દર્શનાર્થે આવે છે. દેશના ઉત્તર ભાગના રાજ્યોમાં પૂનમના દિવસે શ્રાવણ મહિનાની શરૂઆત થાય છે.જેથી સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે દોઢ મહિનાનો શ્રાવણ માસનો મહિમા રહેલો છે.
સ્તંભેશ્વર મહાદેવના મહંત પરમ પૂજ્ય વિદ્યાનંદજી મહારાજના અથાગ પ્રયાસોથી શ્રદ્ધાળુઓની તકલીફ ન પડે તે માટે પૂજા અર્ચના માટે મોટા મોટા હોલ બનાવવામાં આવ્યા છે. રાત્રી રોકાણ માટેની વ્યવસ્થા પણ છે.વરસાદમાં તકલીફ ન પડે તે માટે8000ફૂટના શેડ પણ મારવામાં આવ્યા છે.નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવે છે અને સારી રીતે દર્શન થાય તે માટે તમામ પ્રકારની વ્યવસ્થા છે. વિદ્વાન પંડિતો દ્વારા પૂજા અર્ચના પણ કરાવવામાં આવે છે અને મહંતે દર્શનનો લાભ લેવા જાહેર આમંત્રણ પણ આપ્યું છે.
ચાલો જાણીએ આ અનોખા મંદિર વિશે…
ભારતભરમાં અનેક શિવ મંદિર છે, જે પોતાની વિશિષ્ટ માન્યતાઓ અને પરંપરાઓ માટે જાણીતા છે, પરંતુ કાવી-કંબોઈનું સ્તંભેશ્વર મહાદેવ મંદિર તેમાં સૌથી વિશિષ્ટ છે.
જંબુસરથી આશરે30કિમી દૂર આવેલા કાવી-કંબોઈ ગામમાં આવેલું છે,આ સ્તંભેશ્વર મહાદેવ મંદિર. માનવામાં આવે છે કે આ મંદિર ભગવાન કાર્તિકેયે બનાવ્યું છે. આ મંદિર દિવસે બે વખત દેખાતું બંધ થઈ જાય છે. તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ છે જવાર ભાટા. જ્યારે દરિયામાં ઉંચો જ્વાર આવે છે ત્યારે મંદિર સમુદ્રમાં ડૂબી જાય છે અને જ્યારે પાણી પાછળ જાય છે ત્યારે મંદિર ફરીથી દેખાવા લાગે છે. જ્વાર ભાટાની આ નિયમિત પ્રક્રિયાને કારણે મંદિર‘દિવસે બે વાર અદૃશ્ય અને પછી દેખાવું’ એ એક ચમત્કારિક ઘટના બની છે. શ્રદ્ધાળુઓ આ શિવલિંગના દર્શન માટે આકર્ષાય છે. પ્રકૃતિનો આ ચમત્કાર કેટલાય વર્ષોથી ચાલી રહ્યો છે અને આ અનોખી ઘટનાઓના કારણે સ્તંભેશ્વર મહાદેવને વૈશ્વિક ઓળખ મળી છે.
આ મંદિરનો ઉલ્લેખ શ્રી શિવ મહાપુરાણના રુદ્ર સંહિતા ભાગ2અધ્યાય11માં પણ કરવામાં આવ્યો છે. સ્કંદ પુરાણ મુજબ, આ તીર્થસ્થળ પાછળની કહાની એવી છે કે, રાક્ષસ તારકાસુર ભગવાન શિવની ઘોર તપશ્ચર્યા કરી હતી. ભગવાન શિવ તેની તપશ્ચર્યા પરથી પ્રસન્ન થઈને તેને આ આશીર્વાદ આપ્યો કે શિવપુત્ર સિવાય તેને કોઈ પણ મારી શકશે નહિ. આ આશીર્વાદ મળ્યા બાદ તારકાસુરે હાહાકાર મચાવવાનું શરૂ કર્યું. બધા દેવતાઓ ડરી ગયા. પછી ભગવાન શિવના પુત્ર કાર્તિકેય તારકાસુરનો સંહાર કર્યો. પરંતુ તારકાસુર એક શિવભક્ત હતો, જે જાણીને કાર્તિકેય દુઃખી થયા. દેવતાઓના સૂચન પર તેઓ મહિસાગર સંગમ તીર્થ પર પશ્ચાતાપ કરવા આવ્યા અને ત્યાં એક સ્તંભાકાર શિવલિંગની સ્થાપના કરીને ઘોર તપશ્ચર્યા કરી. શિવભક્તનો વિનાશ કર્યાના પાપ માટે તેમણે પશ્ચાતાપ કર્યો અને તેમની અંદર શાંતિ સ્થાપિત થઈ. ત્યારબાદ અહીં ભગવાન શિવ પોતે પ્રગટ થયા.
સ્તંભેશ્વર મંદિરમાં રહેલુ શિવલિંગ આશરે4ફૂટ ઊંચો અને ૨ ફૂટ વ્યાસ ધરાવે છે. શિવલિંગના સ્તંભ જેવા આકારને કારણે જ આ મંદિરને‘સ્તંભેશ્વર’ કહેવામાં આવે છે. અહીં નાની-મોટી કુલ9નદીઓનું સાગરમાં સંગમ થાય છે, જેના કારણે આ સ્થળને‘મહિસાગર સંગમ તીર્થ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
દેશભરમાંથી શ્રદ્ધાળુઓ અહીં શિવ દર્શન માટે આવે છે. પરંતુ દરરોજ સર્જાતું આ અદ્ભુત પ્રાકૃતિક દ્રશ્ય જોવા માટે પણ મોટી સંખ્યામાં લોકો અહીં ઉમટે છે. આ એવું મંદિર છે કે જ્યાં દરરોજ દરિયો સ્વયં શિવલિંગનું જળાભિષેક કરે છે. દરરોજ બે વખત સ્તંભેશ્વર મહાદેવ સમુદ્રમાં ડૂબે છે અને પછી પોતાની જગ્યાએ પાછા આવે છે. દૂર દૂરથી લોકો આ પ્રકૃતિના ચમત્કારને નિહાળવા આવે છે.
કંબોઈ સ્તંભેશ્વર તીર્થના પહેલા કાવી ગામ આવે છે. અહીં જૈન સમુદાયનું પણ પ્રસિદ્ધ તીર્થસ્થળ છે.જે“સાસુ વહુ ના દેરાસર” તરીકે ઓળખાય છે. અહીં પણ દેશ વિદેશથી જૈન શ્રદ્ધાળુઓ આવે છે. આ દેરાસરનું આર્કિટેક્ચર પણ ખૂબ લોકપ્રિય છે. ગુજરાતીમાં કહેવાય છે કે, ‘કાવી એ મોક્ષની ચાવી’ એટલે કે કાવી મોક્ષનું દ્વાર છે. અહીં આવેલા વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આશરે1200વર્ષ જૂનું આ દેરાસર જૈન તીર્થ મહત્વ ધરાવે છે. કાવીનો હલવો પણ સમગ્ર દેશમાં પ્રસિદ્ધ છે. શુદ્ધ ઘીમાં બનાવવામાં આવતું આ વ્યંજન સમગ્ર વિશ્વમાં લોકપ્રિય બન્યું છે.
સ્તંભેશ્વર મહાદેવ મંદિર પર દર મહાશિવરાત્રી અને અમાવસ્યા પર મેળો ભરાય છે. પ્રદોષ, પૂનમ અને એકાદશી પર અહીં રાત્રીભર પૂજા-અર્ચના થાય છે. દૂર દૂરથી શ્રદ્ધાળુઓ દરિયાના જળથી થતો શિવલિંગનો જળાભિષેક જોવા માટે આવે છે. તે સમયે વાતાવરણમાં પવિત્રતા અને દિવ્યતા છવાઈ જાય છે.