Connect Gujarat
શિક્ષણ

સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણાઅધિકારી ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાઓને ગુલાબના પુષ્પ આપી આવકાર્યા

આજથી શરૂ થયેલી ધોરણ- ૧૦ (SSC) અને ૧૨ (HSC) ની જાહેર પરીક્ષાઓનો આજે તા.૧૧ મી માર્ચથી સુરેન્દ્રનગર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો

સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણાઅધિકારી ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાઓને ગુલાબના પુષ્પ આપી આવકાર્યા
X

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી શરૂ થયેલી ધોરણ- ૧૦ (SSC) અને ૧૨ (HSC) ની જાહેર પરીક્ષાઓનો આજે તા.૧૧ મી માર્ચથી સુરેન્દ્રનગર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. બોર્ડની આ જાહેર પરીક્ષાઓના પ્રારંભ પ્રસંગે આજે સવારે આર.પી.પી. ગર્લ્સ હાઈસ્કુલ, સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કલેક્ટર કે.સી. સંપટ, જિલ્‍લા શિક્ષણાધિકારી એ.એમ. ઓઝા, આચાર્ય સ્વાતિબેન ઓઝા, શાળાના સ્ટાફગણ વગેરેએ પરીક્ષાર્થીઓને ગુલાબના પુષ્પો આપી સાકરથી મોઢું મીઠું કરાવતા આવકાર્યા હતા અને પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ સાથે ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

ક્લેક્ટરએ વિદ્યાર્થીઓ સાથે વાત કરતા તેમને ચિંતામુક્ત થઈ એકાગ્ર મને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા પ્રોત્સાહિત કર્યા હતા. આ ઉપરાંત તેમણે વિદ્યાર્થીઓ અને વાલીઓને ખોટી અફવાઓ અને ભ્રામક વાતોથી દૂર રહેવા જણાવ્યું હતું. કલેક્ટરશ્રીએ શાળામાં ઉપલબ્ધ સુવિધાઓ ચકાસી તંત્રની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત તેમણે પરીક્ષા માટે ફરજ પર ઉપસ્થિત અધિકારીઓ સાથે ચર્ચા કરતા પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય, કોઈ પ્રકારની ગેરરીતિ ના થાય, પરીક્ષાર્થીઓ કોઈ ભય કે અગવડ વગર શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શ્રેષ્ઠ દેખાવ કરી શકે તે માટે જરૂરી સૂચનાઓ પણ આપી હતી. જિલ્‍લા કલેક્ટરએ પરીક્ષા પૂર્વે સમગ્ર શાળા સંકુલની મુલાકાત લઈ પરીક્ષા સંદર્ભે કરાયેલી તૈયારીઓ અને સીસીટીવી કન્ટ્રોલરૂમનું નિરિક્ષણ કર્યું હતું.

આ વિશે વધુ માહિતી આપતા જિલ્લા શિક્ષણાધિકારી એ. એમ. ઓઝાએ જણાવ્યું કે સુરેન્દ્રનગર જિલ્લામાં ધોરણ-૧૦ માં જિલ્લાના ૭૫ પરીક્ષા કેન્દ્રો પરથી કુલ ૧૯,૨૮૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જ્યારે ધોરણ- ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ૪૫ પરીક્ષા કેન્દ્રો પરથી ૧૧,૭૯૩ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. તેવી જ રીતે ધોરણ- ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં જિલ્લામાં ૮ પરીક્ષા સ્થળોથી ૧૪૩૦ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જિલ્લામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે ત્યારે તેઓ કારકિર્દીમાં અગત્યની એવી આ બોર્ડ પરીક્ષાઓ સારી રીતે આપી શકે તે માટે તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ખાસ કરીને પાણીની વ્યવસ્થા, તમામ કેન્દ્રોમાં ચોખ્ખા ટોયલેટ સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. જરૂર હોય તેવા પરીક્ષાર્થીઓ માટે રાઇટરની સુવિધા પૂરી પાડવામાં આવી છે. સમગ્ર જિલ્લામાં આ પરીક્ષા સંચાલનની કામગીરી ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે અને કોઇપણ પ્રકારની સમસ્યા ન ઉદભવે તેની પૂરતી કાળજી અને તકેદારી રાખવામાં આવી રહી છે.

Next Story