અમદાવાદના ટાગોર હોલમાં યોજાયેલા વિદ્યાર્થી અને શિક્ષકોના સન્માન સમારંભમાં શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે. શિક્ષકોને સંબોધતાં મંત્રી જિતુ વાઘાણીએ જણાવ્યું હતું કે વર્ષ 2022ના વર્ષમાં નવા સત્રથી સ્કૂલો શરૂ થઈ રહી છે, ત્યારે ધોરણ 1થી 3માં ગુજરાતી માધ્યમની સ્કૂલોમાં અંગ્રેજી વિષય ભણાવવામાં આવશે. એ અંગે ગત વર્ષે જાહેરાત કરી હતી. એનું અમલીકરણ કરવા જઈ રહ્યા છીએ. ગુજરાતી ફરજિયાત વિષય રહેશે.
આ પહેલાં સરકારી સ્કૂલમાં ત્રીજા ધોરણ પછી અંગ્રેજી ભણાવવાની વ્યવસ્થા હતી. તેમણે આગળ જણાવ્યું હતું કે ત્રીજા ધોરણમાં પુસ્તક તેમજ પહેલા અને બીજા ધોરણમાં ચિત્ર દ્વારા અંગ્રેજી વિષય તરીકે ભણાવવાનું નક્કી કરવામાં આવ્યું છે, કારણ કે કે નાનું બાળક સાત આઠ વર્ષ સુધી ગ્રાસ્પિંગ કરી શકતું હોય છે. શિક્ષકોને પણ ટ્રેનિંગ આપવાની છે, કારણ કે તેઓ બીએ, બીએડ શિક્ષકો છે. જેઓ છ ધોરણ સુધી સરળ ભાષામાં વિદ્યાર્થીઓને સમજાવી શકે એવી રીતે અમે અંગ્રેજી પણ શીખવવાના છીએ.
ત્રણ ધોરણ પછી તેનાં પુસ્તકો અને છ ધોરણ પછી તે વિષયના શિક્ષકો છે, તેનું ધ્યાન રાખવામાં આવશે. ગુજરાતી આપણી માતૃ ભાષા છે એને પણ વળગી રહે અને સમાજમાં કટિબદ્ધતા સાથે બાળક ઊભું રહે એ પ્રકારનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.