Connect Gujarat
શિક્ષણ

પેરામેડિકલ કોર્સીસ માટે પુનઃ શરૂ થશે રજિસ્ટ્રેશન, પ્રવેશ સમિતિ દ્વારા લેવાયો નિર્ણય..

કોર્સમાં ધો. 12 સાયન્સના બોર્ડ પરીક્ષાના પરિણામના આધારે પ્રવેશ થાય છે.

પેરામેડિકલ કોર્સીસ માટે પુનઃ શરૂ થશે રજિસ્ટ્રેશન, પ્રવેશ સમિતિ દ્વારા લેવાયો નિર્ણય..
X

રાજ્યમાં ધો. 12 પછીના બીએસસી નર્સિંગ, ફીઝિયોથેરાપી સહિતના 8 પેરામેડિકલ કોર્સમાં પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા સપ્ટેમ્બરમાં જ પૂર્ણ કરી દેવાઈ હતી. પરંતુ નીટનું પરિણામ બાકી હોવાથી આગળની પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવી ન હતી. તાજેતરમાં નીટનું પરિણામ આવી જતા જે વિદ્યાર્થીઓના ઓછા માર્કસ હોય અને પેરામેડિકલમાં જવા માંગતા હોય તો તેઓ માટે ફરીવાર રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

ધો. 12 સાયન્સ પછીના બીએસસી નર્સિંગ, જનરલ નર્સિંગ, ઓકઝીલરી નર્સિંગ, ફીઝિયોથેરાપી, ઓપ્ટોમેટ્રી, ઓર્થોટિક્સ અને નેચરોપેથી સહિતના 8 પેરામેડિકલ કોર્સમાં પ્રવેશ માટે સરકારની અલાયદી પ્રવેશ સમિતિ છે. આ કોર્સમાં ધો. 12 સાયન્સના બોર્ડ પરીક્ષાના પરિણામના આધારે પ્રવેશ થાય છે. જેથી પ્રવેશ સમિતિ દ્વારા તા. 13મી સપ્ટેમ્બરથી તા. 28 મી સપ્ટેમ્બર સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ હતી. પરંતુ હજુ સુધી મેરિટ, ચોઈસ ફિલિંગ અને બેઠક ફાળવણી પ્રક્રિયા કરવામાં આવી ન હતી. કારણ કે, મેડિકલ પ્રવેશ માટેની નીટનું પરિણામ બાકી હતું.

જે વિદ્યાર્થીઓને નીટમાં ઓછા માર્કસ હોય અથવા ક્વોલિફાઈ થયા ન હોય સાથે જ પેરામેડિકલ કોર્સમાં પ્રવેશ લેવો હોય તો તેઓ માટે ફરીથી રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. પેરામેડિકલ પ્રવેશ સમિતિ દ્વારા પુનઃ એકવાર રજિસ્ટ્રેશનની જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ તા. 15મી નવેમ્બરથી તા. 18 નવેમ્બર સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન થઈ શકશે. આગળનો વિગતવાર પ્રવેશ કાર્યક્રમ હવે પછી જાહેર કરાશે. અગાઉ 47 હજારથી વધુનું રજિસ્ટ્રેશન થઈ ચુક્યુ છે. જે આ વર્ષે રેકોર્ડબ્રેક છે, ત્યારે હવે ફરીથી રજિસ્ટ્રેશન શરૂ કરાતા 50 હજારે પહોંચે તેવી શક્યતા છે.

Next Story